[શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણી પ્રસિદ્ધિ પામ્યો છે. આ ગ્રંથ વાંચીને સ્વામી વિવેકાનંદજીએ તેમના ગુરુભાઈને 1895માં લખેલ પત્રમાં જે મન્તવ્ય આપ્યું છે, તે જ આ ગ્રંથનો શ્રેષ્ઠ પરિચય આપે છે. તેમણે લખ્યું હતું – “હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું. તેને મારા તરફથી પ્રેમપૂર્વકનાં લખો આલિંગનો આપશો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણદેવ પોતાને વ્યક્ત કરે છે. અક્ષય ખરેખર પુણ્યશાળી છે! તે બધા સમક્ષ ‘પુંથી’નું ગાન કરે… તેમાં એક પણ નકામો શબ્દો વાપર્યો નથી. તેનું પુસ્તક વાંચીને મેં જે આનંદ અનુભવ્યો તે શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. આ પુસ્તકનું બહોળું વેચાણ થાય તે માટે બધા યત્ન કરશો. પછી અક્ષયને ગામડે ગામડે જઈને પ્રચાર કરવાનું કહેજો. કમાલ કરી. અક્ષય!… મારા વહાલા અક્ષય! મારા પ્રિય બધું! મારા હૃદયપૂર્વકના તને આશીર્વાદ છે! ઈશ્વર તારી જીભ પર વસો! બારણે બારણે જઈને શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ ફેલાવજે.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા-10, પૃ. સં. 108). ‘ઉદ્બોધન’ ભવન, કલકત્તા દ્વારા પ્રકાશિત આ ગ્રંથનું ગુજરાતી ભાષાન્તર બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજીએ કર્યું હતું. અહીં તેનો પ્રથમ અંશ રજૂ કરીએ છીએ. -સં.]
શ્રીગુરુ વંદના
જય જય રામકૃષ્ણ! વાંછાકલ્પતરું;
જય જય ભગવાન જગતના ગુરુ.
જય હે અનાથનાથ પતિતપાવન;
જય જય દીનબંધુ અધમતારણ.
કૃપાસિંધુ દીનબંધુ હરિ તમોહારી;
જય રામકૃષ્ણ પરમહંસ નામધારી.
પતિતપાવન જય અગતિની ગતિ;
દીનના શરણ, આપો તવ પદે મતિ.
ભુવનપાવન જય ભક્ત કંઠહાર;
જગ જન તારક હારક ભવભાર.
જય ચિત્તરંજક, ભંજક ભવભય;
કરણ, કારણ, કર્તા, સૃષ્ટિ સ્થિત લય.
તમે શિવ, તમે શક્તિ, નારાયણ તમે;
તમે રામ, કૃષ્ણ, સ્વામી અખિલના તમે.
પરબ્રહ્મ તમે અવિદ્યાના નાશકારી;
જય જય રામકૃષ્ણ નરરૂપ ધારી.
નિરાકાર સાકાર છો, ઘટે ઘટે સ્થિતિ;
જય જય રામકૃષ્ણ બ્રહ્માંડના પતિ.
વેદથી અગમ્ય વેદો પામે નહિ પાર;
જય જય રામકૃષ્ણ સરવના સાર.
અનંત તમારી શક્તિ, બુદ્ધિથી અતીત;
પોતે ઓળખાવો ન તો થાઓ ન પ્રતીત.
કરુણાસાગર તમે જીવહિતકારી;
જય જય રામકૃષ્ણ દ્વિજવેષધારી.
જય પ્રેમ ભક્તિદાતા, અજ્ઞાનનિવારી;
જય જય રામકૃષ્ણ તાપત્રયહારી.
સેવાના આનંદ દાતા શુદ્ધ બુદ્ધિ દાતા;
જ્ઞાનના જનક તમે, ભક્તિ તણી માતા.
દુઃખી જીવો પર સદા કરુણાનિધાન;
આપો આ અધમને અભયપદે સ્થાન.
તમ પાસ દીધો વાસ વિના પ્રયોજને;
તમ સમ દયાળુ દેખાય નવ મને.
હું અજ્ઞાની અંધ પરે કર્યું કૃપાદાન;
કહો બીજો કોણ તમ સમ દયાવાન.
સુણ રે અબુધ મન, કહું કર જોડી;
દિનરાત બોલ ‘રામકૃષ્ણ’ લાજ છોડી.
રહે મન અભયચરણ કરી સાર;
પ્રભુપદે પડ્યાં રે’તાં થશે જ ઉદ્ધાર.
જય રામકૃષ્ણ, રામકૃષ્ણ નામ ગાઓ;
રામકૃષ્ણ નામ લેતાં ભવ તરી જાઓ.
ભજો, પૂજો, રામકૃષ્ણ, એનું ધરો ધ્યાન;
એ જ સર્વના છે સાર, એવું રાખો જ્ઞાન.
સ્મરો રામકૃષ્ણ, છોડી કપટ લુચ્ચાઈ;
જીવ સેવા કરી કરો ભવ પાર ભાઈ.
છોડો મન ગંદા, તમે કામ ને કાંચન;
ધૂળ રાખ ગંધારાંમાં રાખો નહિ મન.
સંસારતરુમાં વિષફૂલ ઊઠે ફૂલી;
છોડી પ્રભુ પદ મધ, શાને મરો ભૂલી.
ગાઓ એક વાર મન રામકૃષ્ણ-ગાન;
નથી કાંઈ રામકૃષ્ણ નામની સમાન.
પતિતપાવન નામ ગયા અહીં રાખી;
મુએ એક વાર બોલી, ફળ જુઓ ચાખી.
સુધાથીયે વધુ મીઠું પ્રભુનામ લાગે;
લેતાં મૂર્તિમંત થઈ અંતરમાં જાગે.
નથી કશું રામકૃષ્ણ નામની સમાને;
લેનારો અંતર થકી વાત આ પ્રમાણે.
કોટિ જન્મો કેરાં પાપ નાશે એકસાથે;
ફળ રામકૃષ્ણ નામ કેરું મળે હાથે.
દયાળુ ઠાકુર પોતે બોલીયા છે ગીતિ;
“જામીન હું તેનો જેની મમ નામે પ્રીતિ.”
ઈશ્વરી આવેશભર્યા બોલ્યા ઉચ્ચ રવે;
પતિત-પાવન વિષે સરવ સંભવે.
પાપનાશ ઓછી વાત, સેવાભક્તિ મળે;
લીઓ યદિ રામકૃષ્ણ-નામ હર પળે.
યાગે યજ્ઞે જપે તપે બને ના જે કામ;
અનાયાસે બને, લીધે રામકૃષ્ણ નામ.
ઉચ્ચ સ્વરે તાલી દઈ ગાઓ પ્રભુનામ;
મૂકી લાજ, છોડી કાજ, નહિ બેસે દામ.
નિષ્ઠા રાખી, ઇષ્ટ ગણી, માનો તેને સાર;
રામકૃષ્ણ નામ કરે નાશ પાપભાર.
પ્રભુને શૃંગારવાની ઇચ્છા મનમાંહી;
નથી કિંતુ રત્નધન પૈસા ટકા કાંહી.
પોતે જ સુંદર પ્રભુ જન મન હારી;
ભુવન મોહન છબી મન લોભ કારી.
જેમ શણગારી દેતાં ફૂલે અને પાને;
ગુંજા મોતી વડે ગોપગોપી વૃંદાવને.
સુંદર ગુંજાનો હાર, ગુંજાનો મુકુટ;
ગુંજા મોતી ભર્યા વાઘા, તેવી કાનબૂટ.
ગુંજા મોતી કેરાં લાંબાં કાનનાં કુંડલ;
એથી જ સોહાવી દેતાં શિરનું મંડલ.
મોતીનાં બનાવી કડાં પે’રાવતા હાથે,
શિરપેચ મોતીભર્યો મૂકી દેતા માથે.
મોતીએ મઢેલી વળી મોહન બંસરી;
એમ શણગારવાની ઇચ્છા મન ખરી.
ભુવન શૃંગારને હું કેમ શણગારું;
ભૂતલે પડ્યો હું ચાંદો લેવા હામ ધારું.
જનમ જો દેત પ્રભુ જાતિનો સુથાર;
સિંહાસન રચી દેત શોભાનો આગાર.
પણ કર્યો મે’તો મને હાથે દીધું બરુ;
શાહી ઘૂંટી નિત્ય ચોપડાઓ લખી મરું.
પેટ સારુ શઠ શેઠિયાને દ્વારે ફરુ;
રહ્યું જિંદગીનું દુઃખ મારે મન ખરું.
શૃંગારવા આપ્યું કિંતુ કેવળ ચંદન;
ઘસીને લગાવું નિત્ય નવાં આભરણ.
ઘાટું ખીર જેવું દૂધ કરીને ગરમ;
મન થાય ધરવાનું પૂરીઓ નરમ.
કરો મન સમર્પણ વૈભવ સંપદ;
ધન જન પ્રાણ, વાંછો માત્ર પ્રભુપદ.
પ્રભુને જ સાર ગણો, એ જ બુદ્ધિબળ;
સંપદ વિપદમાં એ સહાય કેવળ.
શાને મનસ લઈને આ અનિત્ય સંસાર;
ડૂબો તેમાં છોડી પ્રભુ સુખનો ભંડાર.
ભાઈ કહો, બંધુ કહો, કહો સૂતદાર;
સ્વાર્થ સારું વ્હાલ કરે, જાણો નિરધાર.
હજીયે સમય છે તો શાને થાઓ દુઃખી;
બોલો સદા રામકૃષ્ણ જેથી થાઓ સુખી.
અતુલ પ્રભુના ભક્તો તેમાં ભક્તિમાન;
આપણામાં કોઈ નહિ તેમની સમાન.
જતનથી રાખો પ્રીતિ ભક્તે પર મન;
ખરા બંધુ એ જ સાચાં સગાં જ્ઞાતિ જન.
ભક્તો માંહે નાના મોટો ગણવા એ ખોટું;
સરવેને પૂજ્ય માનો મન રાખી મોટું.
નાના મોટા માનવાનો નહિ અધિકાર;
જાણો સર્વે ભક્તો રામકૃષ્ણ-પરિવાર.
રામકૃષ્ણભક્તો કેરું કરો રે ચિંતન;
પદ પૂજો તેમના રે રાતદિન મન.
ગૃહી ને સંન્યાસી એ બે ભક્તોના પ્રકાર;
પગે પડી પદરેણુ લીઓ વારંવાર.
ભક્તવંદના
જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરું;
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણતણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
વંદું હાથ જોડી, નમું ભક્તગણ પાસ;
સહુની ચરણરજ યાચે છે આ દાસ.
રામકૃષ્ણભક્ત સમ નહિ બીજું કાંઈ;
જેમના હૃદયમાં બિરાજે પ્રભુરાઈ.
જેહ કાંઈ મળે નહિ શાસ્ત્રઅધ્યયને;
અનાયાસે થાય પ્રાપ્ત ભક્ત-દરશને.
ભક્તને અસાધ્ય નહિ કંઈ જ સંસારે;
તેમની દયાથી પંગુ ગિરિ લંઘ કરે.
કૃપા થયે અંધનેય દિવ્ય દૃષ્ટિ મળે;
ગુપ્ત પ્રભુલીલા તેને અંતરમાં કળે.
અરે સૂકાં ઠૂંઠ પરે કૃપા યદિ થાય;
ઊગે નવાં પાન, ફૂલ, ફળ એ દેખાય.
ભક્ત જો પાષાણ પરે કૃપાદૃષ્ટિ કરે;
દ્રવિત થઈને વારિ તેહ થકી ઝરે.
Your Content Goes Here




