13 નવેમ્બર, ગુરુનાનક જયંતી પ્રસંગે

શીખ ધર્મના સંસ્થાપક, સુપ્રસિદ્ધ સંત, માનવ-માનવ અને ધર્મ-ધર્મ વચ્ચેની એકતાના ઉદ્‌ગાતા ગુરુનાનકની 521મી જન્મ જયંતી 13મી નવેમ્બરે આવે છે. ઉદારમતવાદી, પ્રેમભક્તિભાવનાવાળા ગુરુનાનકના અનુયાયી હિંદુ પણ હતા અને મુસલમાન પણ હતા. તેઓ માનતા કે ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે – તે મંદિરમાંય છે – અને મસ્જિદમાંય છે – અને મંદિર-મસ્જિદની ચાર દિવાલની બહારેય છે. ઈશ્વરની દૃષ્ટિએ બધા સમાન છે. ઊંચ-નીચના ભેદભાવ નથી. ગુરુનાનકના કેટલાંક ઉપદેશ અહીં રજૂ કરીએ છીએ:

(1)           પ્રભુની ઉદારતા, દયા, પ્રતિગ્રહ અને આજ્ઞા અનુપમ છે.

(2)    હે માનવ, તારી અંદર જ સાચું ધન છે. બહાર શું ફાંફા મારે છે? ગુરુકૃપાથી એ સાચું ધન-ઈશ્વર તને સાંપડશે. ગુરુભક્તિથી ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ મળી જશે.

(3)          જીવન ઘડીએ પળે ઘટતું જાય છે – મનુષ્યદેહે આવ્યો છે તો પ્રભુનામ જપતો જા.

(4)         હૃદયની અશુદ્ધિ લોભ છે. વાણીની અશુદ્ધિ મિથ્યાપ્રલાપ છે. આંખોની અશુદ્ધિ પરધન-પરસ્ત્રી પર લોભ-કામ દૃષ્ટિ છે. કાનની અશુદ્ધિ નિંદા સાંભળવામાં છે.

(5)          જેમ પુષ્પમાં સૌરભ છે, દર્પણમાં પ્રતિબિંબ છે – તેમ આપણા હૃદયમાં પ્રભુ વસે છે. બહાર ફાંફા મારવાની જરૂર નથી.

(6)          જે ભક્ત સત્યને વ્રત ગણે છે, સંતોષને તીર્થ માને છે, દિવ્યતાને અને ધ્યાનને સ્નાન, દયાને ઈશ્વરની પ્રતિમા અને ક્ષમાને જપમાળા માને છે તેને જ પ્રભુનો કૃપા પ્રસાદ સાંપડે છે.

(7)          પ્રત્યેક જીવને સમાન ગણ, મનોજયી બન.

(8)          તમે એકેયવાર આચરણ ન કરી શકો તો લાખો વાર વિચાર કર્યે રાખ્યાનો કશો અર્થ નથી, જો તમે તમારા ભટકતા મનને અટકાવી ન શકો તો સતત મૌન પાળવાથી કશું વળશે નહિ. પેટ ઉપર રોટલાઓ ખડકી દેવાથી કંઈ ભૂખ શમી જતી નથી.

Total Views: 148
By Published On: November 1, 1989Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram