શ્રીરામકૃષ્ણનું જીવન, તેમનું ચારિત્ર્ય, તેમનો ઉપદેશ અને તેમના ધર્મનો પ્રચાર કરો. આ જ એકમાત્ર આધ્યાત્મિક સાધના છે. આ જ એકમાત્ર ઉપાસના છે, આ જ ખરેખરો ઉપાય છે અને આ જ ધ્યેય છે. ઊઠો, ઊઠો! ભરતીનો જુવાળ આવી રહ્યો છે! આગે બઢો! સ્ત્રીઓ, પુરુષો અને ચાંડાળ સુધીના સર્વ લોકો શ્રીરામકૃષ્ણની નજરમાં પવિત્ર છે. આગે બઢો, આગે બઢો! નામયશ માટે, કીર્તિ માટે, મુક્તિ માટે કે ભક્તિ માટે પરવા કરવાનો સમય નથી. તે બધાંની સંભાળ કોઈ બીજે વખતે લેશું. અત્યારે આ જીવનમાં તો તેમના ઉદાત્ત ચરિત્રનો, તેમના ભવ્ય જીવનનો અને તેમના અસીમ આત્માનો અનંત રીતે પ્રચાર કરીએ. ફક્ત આ એક જ કામ છે; તે સિવાય કંઈ ક૨વાનું નથી. જ્યાં-જ્યાં તેનું નામ પહોંચશે, ત્યાં-ત્યાં હલકામાં હલકા જંતુમાં પણ દિવ્યતા આવશે. અરે, આવી જ રહી છે. તમને આંખો છે છતાં તે નિહાળી શકતા નથી. આ શું બચ્ચાંનો ખેલ છે? આ શું બેવકૂફીભર્યો બકવાસ છે કે મૂર્ખાઈ છે? उत्तिष्ठत जागृत। ઊઠો; જાગો! એ મહાન ઈશ્વર આપણી પાછળ છે. હું વધારે લખી નથી શકતો. બસ, આગે બઢો! હું તમને એટલું જ કહું છું કે જે આ પત્ર વાંચશે તેનામાં મારી શક્તિ આવશે. શ્રદ્ધા રાખો! આગે બઢો! પરમેશ્વર મહાન છે!… મને એમ લાગી રહ્યું છે કે બીજા કોઈ મારો હાથ ચલાવીને આ પ્રમાણે લખાવી રહ્યું છે. આગે બઢો! હે ઈશ્વર! દરેક માણસ ઘસડાઈ જશે! સંભાળજો. સાક્ષાત્ ઈશ્વર આવી રહ્યો છે. જે કોઈ તેની સેવા કરવા, -ના, તેની નહિ પણ તેનાં ગરીબ અને કચડાયેલાં, પાપી અને દુ:ખી અને કીડા સુધીનાં તેનાં સર્વ બાળકોની સેવા કરવા જેઓ તૈયાર થશે તેમનામાં એ પ્રગટ થશે. તેમની જિહ્વા દ્વારા સાક્ષાત્ ભગવતી સરસ્વતી બોલશે અને તેમના હૃદય સિંહાસનમાં સર્વ શક્તિમયી જગન્માતા બિરાજશે.
– સ્વામી વિવેકાનંદ
(સ્વામી વિવેકાનંદના પત્રો (સંચયન) ભાગ પહેલો: પૃ. ૭૧-૭૨)
Your Content Goes Here



