દરિયો ડહોળીને અમે મોતીડાં આણ્યાં,

પણ, બંધાતી છીપલીને પૂછે છે કોણ?

આભલે ઊડીને લાખ તારલિયા વીણ્યા,

કેમ ફફડાવી પાંખો તે પૂછે છે કોણ?

જંગલને પાત પાત પડઘાતા પડઘમમાં

એક ટહુકો ઉલાળવાનું પૂછે છે કોણ?

ડૂંગરા ખૂંદીને દળ ટોચે પોગાડ્યા,

પ્હેલી પગલી પાડ્યાનું હવે પૂછે છે કોણ?

ઊંચી મ્હોલાતું એ કોરાતા કાંગરા

માંહી ધરબાતી કાંકરીને પૂછે છે કોણ?

સૂરજના સાત રંગ આંખે અંજાય

જરી તણખો ઝીલાયાનું પૂછે છે કોણ?

દુનિયા આખીમાં દ્યે દેકારા પડકારા

પણ કાળજાની વાત્યું’ને પૂછે છે કોણ?

દરિયો ડહોળીને અમે મોતીડાં આણ્યાં,

પણ બંધાતી છીપલીને પૂછે છે કોણ!

– જ્યોતિબહેન ગાંધી

Total Views: 132
By Published On: May 1, 1996Categories: Jyotibahen Gandhi0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram