રામકૃષ્ણમઠ, દિલ્હીના પૂર્વાધ્યક્ષ વરિષ્ઠ સંન્યાસી સ્વામી બુધાનંદજી મહારાજનો ૧૯૫૦, ડિસેમ્બરમાં વેદાંત કેસરીમાં પ્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. સં.

ત્યાગ વિના મુક્તિ ન મળે

જ્યારે કોઇપણ વ્યક્તિ પોતાની જાતને આધ્યાત્મિક ગુરુ ગણાવતી હોય અને તે તમને એમ કહેતી હોય કે ત્યાગ વિના ઇશ્વરની અનુભૂતિ થઇ શકે તો એ એક નરી મૂર્ખતા છે. એના દૃઢ નિશ્ચય બાબતે પ્રશ્ન ઊભો થાય છે અને એમને ત્યાગ એટલે શું એ સમજાવવા પ્રશ્ન પૂછવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે અને તમને એ પ્રશ્નનો ઉત્તર પણ મળી રહે તો તમને એ માણસ કોઇપણ જાતની આધ્યાત્મિક અનુભૂતિ ધરાવતો નથી એનો ખ્યાલ સ્પષ્ટપણે આવી જશે અને આવા લોકો સાચા આધ્યાત્મિક ગુરુ કે ઉપદેશક નથી અને એમની ત્યાગ વિશેની વ્યાખ્યા અભાવાત્મક છે.

‘હું કેવી રીતે ઇશ્વરની અનુભૂતિ કરી શકું?’ વિશ્વના ધર્મોના ઇતિહાસમાં આ પ્રશ્ન તો પુછાયો છે પણ, ‘આ દુનિયામાં રહીને મારે શા માટે ઇશ્વરની અનુભૂતિ ન કરવી જોઇએ?’ એ પ્રશ્ન વારંવાર પુછાયો છે.

આ બંને પ્રશ્નો એકીસાથે પ્રશ્ન પૂછનારના જીવન પ્રત્યેના અભિગમભેદને વ્યક્ત કરે છે. પહેલો પ્રશ્ન માત્ર ઈશ્વરની અનુભૂતિના જિજ્ઞાસુનો છે. જ્યારે બીજો પ્રશ્ન કરનાર ઇશ્વરને ય ઝંખે છે અને દુનિયાની ય ઇચ્છા રાખે છે. કદાચ એ જગતને વધારે ઝંખે છે અને ઇશ્વરને થોડા ઓછા ઝંખે છે.

ઉપર્યુક્ત બંને પ્રશ્નકર્તા માટે પ્રભાવક અધ્યાત્મિક ગુરુનો જવાબ એક જ હશે. તે એ બંને જિજ્ઞાસુને કહેવાના, ‘હા મિત્ર, તમે બધી રીતે ઇશ્વરને પામી શકો.’ એનું કારણ એ છે કે માનવનો એ જન્મસિદ્ધ અધિકાર છે અને એનો ઈન્કાર ન કરી શકાય. આવી રીતે વાત કરીને પછી એ બંને જિજ્ઞાસુઓની જુદી જુદી બે પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને તેનું સમાધાન કરવા પ્રયત્ન કરશે. એનું કારણ એ છે કે પ્રભાવક આધ્યાત્મિક ઉપદેશક કે ગુરુ એ સર્વોત્કૃષ્ટ અનુભૂતિ કરાવનારા હોવા જોઇએ. એટલે દરેકે દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે એમના પ્રત્યે સમસંવેદના અને આદર સાથે તે જ્યાં ઊભો છે ત્યાંથી એને ક્રમશ : પ્રેમપૂર્વક માર્ગદર્શન આપીને તેના પોતાના ઇશ્વરના પથે સાચો ધર્મગુરુ વાળે છે.

પ્રથમ પ્રશ્ન પૂછનાર માટે, જે નિરાસક્તિ, સદ્ભાગ્યે, એ જિજ્ઞાસુએ કેળવી છે, એને સુદૃઢ રીતે અને સલામત રીતે પ્રબળ બનાવવી જોઈએ તેમજ ઇશ્વર પ્રત્યેના તેના પ્રેમને વધારે સઘન બનાવવો જોઇએ. વાસ્તવિક રીતે દુનિયા અને ઇશ્વરના દેખાતાં આ બંને સાધ્યોમાંથી તારવેલી એક જ પ્રક્રિયા છે.

બીજા પ્રશ્નકર્તા જિજ્ઞાસુની બાબતમાં આ સંસારને કે દુનિયાને વખોડ્યા સિવાય અધ્યાત્મ ગુરુ એ જોશે કે એના ઉપરછલ્લા અને સામાન્ય કક્ષાના ઇશ્વર માટેના પ્રેમને શાંતિથી એક દર્દીની જેમ માવજત કરીને ધીમે ધીમે એમના હૃદયને ઉન્નત કરવાનો છે. આને પરિણામે ત્યાગનો ભાવ એની મેળે બીજે છેડે જાગી જવાનો. વળી એમનામાં ‘હું કેવી રીતે ઇશ્વરની અનુભૂતિ કરી શકું?’ એ કક્ષાએ પૂરતા ખંત અને નિષ્ઠાથી પોતાની જાતને પ્રશ્ન કરતો ન કરી શકાય તો તેને માટે આ સંસાર કે દુનિયા યોગ્ય સ્થાન છે. તેને જેની ભૂખ લાગી છે તે બધું આ દુનિયા જ આપી શકે. જ્યાં સુધી કોઇનામાં પણ આ દુન્યવી પદાર્થાેને, સુખોને માણી લેવાની થોડીઘણી ઇચ્છા પણ બાકી રહી ગઇ હોય તો તે આ દુનિયામાં રહે એમાં કાંઈ ખોટું કે અધોગતિ જેવું નથી. દરેક માનવને જીવનમાં પોતાનો સમય લેવાનો અને એ પ્રમાણે દોડવાનો હક છે. ઊલટાનું જે માણસને હજી પણ ન પોષાયેલી ઇચ્છાઓ, આકાંક્ષાઓ પુષ્કળ માત્રામાં હોય તેને ત્યાગ માટે બળપૂર્વક પ્રેરવો એ અમાનુષી આધ્યાત્મિક ભૂલ ગણાશે. એટલે જ તેના માટે આ દુનિયાને વળગી રહેવું અને જાણે કે એને સાવ નીચોવીને પી જવી વધારે પ્રામાણિક અને સન્માનજનક બની રહેશે. માત્ર ઇશ્વરાનુભૂતિ; જીવનમાં, એનાથી વધારે ઉચ્ચતર કરવાનું કંઇ નથી. એવો ઉપદેશ આપતા રહેવામાં ગૂંચવાવું ન જોઈએ. કોઇ ભેંસ ઘાસ ચરતી હોય તો એના માટે એ યોગ્ય ગણાય પણ આપણે એ કંઈક ઉચ્ચ કક્ષાનું આધ્યાત્મિક કાર્ય કરી રહી છે એવી ધારણા કરી ન શકીએ. જીવનના સર્વોત્કૃષ્ટ મૂલ્ય પ્રત્યે કોઇપણ જાતની ચેતના વિના, જો માણસ આ દુનિયાની અધોગતિમાં સબડતો હોય, તો એને માટે ફક્ત આટલું દુ :ખ કે વસવસો અનુભવી શકાય કે તેને ઉચ્ચતર કક્ષાના ધ્યેય માટે વિચારવા કોઇ ભૂમિકા અપાઇ નથી.

પરંતુ જ્યારે તમને પૂરેપૂરી તૃપ્તિ થાય ત્યાં સુધી ખાઇપી ભોગવી લો અને અનુભૂતિવાળા મહાન પુરુષોના પ્રમાણભૂત વ્યક્તિગત અનુભવોથી આ ભયંકર માયાને જાણી લો. પછી કોણ એવો માણસ છે કે જે પોતાના જાગૃતિના હકનો ઇનકાર કરી શકે? વળી એ વાતનો ઇનકાર પણ કોણ કરી શકે કે તમે તમારા સદૈવ અતૃપ્ત રહેતા ભોગ અને વ્યવહારથી થાકી ગયા છો. અને જેના દ્વારા તમને ભીતરની અને બહારની શાંતિનો અનુભવ થાય એવી કોઇ વસ્તુ માટે તમે તીવ્ર ઝંખના અનુભવો છો. જ્યારે તમે આવી મનોદશાએ પહોંચો ત્યારે તમને શું એમ લાગે છે કે જેનાથી તમે ઘૃણાની ધ્રુજારી અનુભવો એવી બાબતો તમારા પર ઠોકી બેસાડવી એ ન્યાય સંગત ગણાશે? આ દુનિયા કે સંસાર વિશેની તમારી સાચી સમજણ જાગે ત્યારે તમારો આત્મશ્રદ્ધાપૂર્વકનો સ્વનિર્ણયનો અધિકાર લુપ્ત થતો નથી. જીવનના આવા તબક્કે તમારે ‘કંઇક’ ની પાછળના તલસાટની મનોદશાને નવા અભિગમ સાથે તાલમેલ રાખે એવા જીવનના નવસંજોગોને શોધવા પડે. હવે તમારો પ્રશ્ન આવો હશે- ‘હું એ કંઇક-ઇશ્વરની અનુભૂતિ કેવી રીતે કરી શકું?’, ત્યારે ‘આ દુનિયામાં રહીને હું શા માટે ઇશ્વરની અનુભૂતિ ન કરી શકું?’ એવો પ્રશ્ન રહેશે નહીં.

આત્મસંતોષ થાય તેવો ત્યાગ અને અવગણી ન શકાય તેવો ઇશ્વર પ્રત્યેનો પ્રેમ પવિત્ર છે. કોઇપણ સારી પત્ની કે સારા પતિએ ‘સેંકડો પતિ કે પત્ની હોવાં એમાં શું ખોટું છે?’ એવો પ્રશ્ન કરવો યોગ્ય ગણાશે? જો એ બધાં ખરેખર મનથી પવિત્ર હોય તો એમનાં મનમાં આવો પ્રશ્ન ઊઠવાની શક્યતા જ રહેતી નથી. એવી જ રીતે જ્યારે આપણે ખરેખર ઇશ્વરની ઝંખના કે શોધના કરીએ છીએ ત્યારે શા માટે આપણે એક ઇશ્વરને જ ઝંખીએ છીએ અને બીજું એવું શું છે કે જેની તાલાવેલી અનુભવીએ? જ્યારે આપણા જીવન અને અસ્તિત્વ સામે એક માત્ર વસ્તુ કે વિષયરૂપે ઇશ્વર જ આવે છે ત્યારે ત્યાગની અવસ્થા આવી જાય છે. એટલે જ આસક્તિ કે પરિગ્રહ અને ઇશ્વર માટેની સાચી ઝંખના કોઇપણ પ્રકારની બૌદ્ધિક ભૂમિકામાં કે અભ્યાસ-સાધનામાં સાથે જોડી ન શકાય. વિશ્વના બીજા પ્રભાવક ગુરુઓની જેમ સ્વામી વિવેકાનંદે પણ ઇશ્વરની અનુભૂતિમાં ત્યાગનો સંબંધ અને સંદર્ભ અનિવાર્ય છે, અપરિહાર્ય છે એવું સ્પષ્ટ પણે દર્શાવ્યું છે. તેમના શબ્દોમાં કહીએ તો :

જે લોકો એવું વિચારે છે કે ‘આ દુનિયામાં રહીને મને શા માટે ઇશ્વરની અનુભૂતિ ન થઇ શકે?’ આવો પ્રશ્ન પૂછવો એ વધારે શાણપણભર્યું છે, તેવા આત્મ-સંમોહનથી પીડાતા લોકો માટે સદીઓથી એક સગવડિયા ધર્મ માટેની લાગણી સતત થતી આવી છે. આવા સગવડિયા ધર્મની સતત થતી માગણીનો પ્રતિભાવ પણ મળ્યા વગર રહેતો નથી. એને પરિણામે પોતાની જાતને આધ્યાત્મિક ગુરુ કે ઉપદેશક ગણાવતા કેટલાક લોકો ઊભા થયા, જેમણે ઇશ્વરની અનુભૂતિ માટે ત્યાગની વ્યર્થતાનું મોટું બૂમરાણ મચાવી દીધું. આવા પ્રતિઘાતક અને ભયંકર અપ્રત્યક્ષ રીતે ઘુસાડાતાં મિથ્યા દર્શનો પોતાની ભૂમિકા મજબૂત કરે તે પહેલાં સાચા, આધ્યાત્મિક પયગંબરોએ હંમેશાં તેને નિરર્થક બનાવતી પ્રતિક્રિયા કરવી પડી. સ્વામી વિવેકાનંદે પોતાની આગ ઝરતી ભાષામાં આ ભયંકર હાનિકારક સિદ્ધાંતોનું ખંડન કરતાં કહ્યું છે,

‘કેટલાક એવા વિરલ લોકો હોય છે કે જેઓ આધ્યાત્મિક જીવનમાં ત્યાગના મહત્ત્વ વિશે પ્રત્યક્ષ રીતે પ્રશ્ન પૂછતા નથી. એમની દૃષ્ટિએ તો આ ત્યાગ ઇશ્વરના કાનૂનનું આજ્ઞાંકિતપણું છે અને એના માટે આવા લોકો ચોક્કસ હોય છે. તેઓ માત્ર અને માત્ર ઇશ્વર માટે જ સર્વત્યાગી રીતે રહે છે.’

શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ઇશાન મુખરજી સાથેના વાર્તાલાપમાં આ ત્યાગની વાત કરવામાં આવી છે.

ઇશાને પૂછ્યું, ‘જો દરેકે દરેક વ્યક્તિ સંસારનો ત્યાગ કરે તો એ ઇશ્વરની ઇચ્છાની વિરુદ્ધનું કાર્ય ગણાય.’ શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘શા માટે બધાયે આ સંસારનો ત્યાગ કરવો જોઇએ? વળી બીજી બાજુએ બધાએ કામકાંચનમાં કૂતરાં-ભૂંડની જેમ રચ્યા પચ્યા રહેવું જોઈએ એ શું ઇશ્વરની ઇચ્છા કહી શકાય? શું તેને કોઇ બીજી ઇચ્છા નથી? એમની ઇચ્છાને સુસંગત અને અસંગત શું છે એની તમને ખબર છે? તમે કહો છો કે ઇશ્વર દરેકે દરેક વ્યક્તિ સંસારી જીવન જીવે એમ ઇચ્છે છે, પણ જ્યારે તમારાં પત્ની અને સંતાનો મૃત્યુ પામે ત્યારે એ પણ ઇશ્વરની ઇચ્છા છે એમ કેમ નથી માનતા? જ્યારે તમારી પાસે એક કોળિયો અન્ન ખાવા ન હોય ત્યારે ગરીબાઇ પણ એમની ઇચ્છા છે એમ કેમ નથી જોતા?..’

પરંતુ શા માટે બધાએ સંસારનો ત્યાગ કરવો જોઇએ? સમયની પરિપૂર્ણતા વિના ત્યાગ શક્ય છે? જ્યારે કોઇપણ વ્યક્તિ ભોગ વિલાસને માણવાની સીમા સુધી પહોંચી જાય ત્યારે ત્યાગનો સમય આવી પહોંચે છે. શું કોઇપણ વ્યક્તિ તેને ત્યાગમાં બળપૂર્વક ધકેલી શકે? વાનરનો ત્યાગના નામે એક પ્રકારનો ત્યાગ છે. માત્ર ક્ષુદ્ર મનવાળા વ્યક્તિઓ જ આવા ત્યાગને કેળવે છે. પિતા વિનાના અનાથ બાળકનું ઉદાહરણ લો. તેની ગરીબ વિધવા માતા કાંતણકામ કરીને જીવનનિર્વાહ ચલાવે છે.

છોકરો તેનો મહત્ત્વ વિનાનો કામધંધો ગુમાવે છે અને તેને ત્યાગની એક ઝટકી આવી જાય છે. તે સાધુ જેવાં ભગવાંકધારણ કરીને કાશીએ જાય છે. થોડા દિવસ પછી તે પોતાની માતાને કાગળ લખે છે, ‘મહિનાના દસ રૂપિયાની નોકરી મને મળી ગઇ છે.’ એ સમય દરમિયાન એ એક સોનાની વીંટી અને મજાનાં કપડાં ખરીદવાનો પ્રયત્ન કરે છે! તે પોતાની ભોગવિલાસની ઇચ્છાઓને કેવી રીતે રૂંધી શકે? ·

Total Views: 113
By Published On: December 1, 2012Categories: Budhananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram