ગતાંકથી આગળ…

શ્રી ‘મ’ નો ડૉ. મહેન્દ્રલાલ સરકાર સાથે વાર્તાલાપ

શ્રીરામકૃષ્ણને જોવા જવા ડોક્ટર સરકાર સાથે માસ્ટર મહાશય પણ ગાડીમાં બેઠા. રસ્તામાં વિદ્યાસાગરની વાત નીકળી. વિદ્યાસાગરે શ્રીરામકૃષ્ણ પ્રત્યે કેટલી વિનમ્રતા દર્શાવી હતી એનો ઉલ્લેખ કરીને માસ્ટર મહાશયે કહ્યું, ‘છતાં પણ એમની (વિદ્યાસાગર) સાથે વાતચીત કરીને મેં જોયું છે કે વૈષ્ણવો જેને ભાવ કહે છે બરાબર એવી જ રીતે વાતો કરવી એમને પસંદ નથી, જેવો આપનો મત છે.’ ડોક્ટર સમર્થન સાથે કહે છે, ‘હાથ જોડવા, ચરણમાં માથું રાખવું આ મને પસંદ નથી.’

જે લોકો ઈશ્વરને માનતા નથી તેઓ પણ એકબીજાને જ્યારે મળે ત્યારે હાથ જોડીને નમસ્કાર કરે છે. આ એક સૌજન્યની પ્રચલિત પ્રથા છે. બરાબર એ જ રીતે ભક્તિભાવ હોવા છતાં તેની અભિવ્યક્તિની પદ્ધતિ સમાજ અને દેશભેદ પ્રમાણે ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. કોઈ હાથ જોડે છે, કોઈ માથું નમાવે છે કે દંડવત્ પ્રણામ કરે છે. આ બધી ભાવની અભિવ્યક્તિ છે. એમાં કંઈ સારું યે નથી અને ખરાબ પણ નથી, પરંતુ આંતરિકતા ન હોય તો આ એક દોષ છે.

માસ્ટર મહાશય સુયોગ મળતાં જ મહેન્દ્રલાલ સરકારની સામે શ્રીરામકૃષ્ણના ભાવને વ્યક્ત કરતા. અહીં તેઓ શ્રીરામકૃષ્ણના રંગના કૂંડાનું ઉદાહરણ આપીને એવું સમજાવવા ઇચ્છતા કે શ્રીરામકૃષ્ણની ભીતર બધા રંગ છે, બધા ભાવ છે. એટલે બધા સંપ્રદાયના લોકો એમની પાસે આવીને શાંતિ અને આનંદ મેળવે છે. માસ્ટર મહાશય વધુમાં કહે છે, ‘એમનો વિશેષ ભાવ શું છે, તેઓ કેટલા ગહન છે, એને ભલા કોણ સમજી શકે ?’ અર્થાત્ એમના ભાવને સમજવો ઘણો કઠિન છે. સૂતરનો વ્યવસાય ન કરીએ તો સૂતરનો ભેદ સમજાય નહીં. એમનો ભાવ થોડોઘણો પણ પોતાના અનુભવમાં આવ્યા વિના એમની ભીતર રહેલું મહત્ત્વ સમજી શકતા નથી.

ત્યાર પછી ડોક્ટર પૂછે છે કે શ્રીરામકૃષ્ણની સેવાની વ્યવસ્થા કેવી રીતે થાય છે. માસ્ટર મહાશયે બતાવ્યંુ કે ગૃહસ્થોમાંથી કોઈ એક વ્યવસ્થા કરે છે અને યુવકવૃંદ એ પ્રમાણે સેવા કરે છે. ડોક્ટરને શ્રીરામકૃષ્ણના ભક્તો વિશે ઘણી ઉત્સુકતા છે. સેવકોની નિષ્ઠા અને ગુરુભક્તિ જોઈને તેઓ મુગ્ધ થયા છે. પરંતુ તેઓ પોતે હજી પણ એ ભાવને પોતાનો બનાવી શક્યા નથી. ત્યાર પછી પણ ક્યારેય તેને અપનાવી શક્યા હતા કે નહીં, તેનો ખ્યાલ નથી. આમ છતાં પણ શ્રીરામકૃષ્ણ પ્રત્યે તેઓ શ્રદ્ધાસંપન્ન હતા અને એને પરિણામે એમનામાં ઉદારતા આવી ગઈ હતી. આ ઉલ્લેખ કથામૃતમાં જોવા મળે છે. વસ્તુત : શ્રીઠાકુરના પ્રભાવમાં આવીને એને દૂર રાખવાની ક્ષમતા લગભગ કોઈમાં ન હતી. બધા લોકો થોડાઘણા પ્રભાવિત થતા જ. અને આધાર સારો હોય તો એમનો ભાવ ઘણી ઝડપથી અને ગહનતા સુધી સંચરિત થતો. જ્યાં પાત્રતા ન હોય ત્યાં આ ભાવ બાહ્ય સપાટી પર કાર્ય કરતો. પરંતુ જે અહીં આવતા એમાંથી એમના પ્રભાવથી કોઈ મુક્ત ન રહી શકતું.

ડોક્ટર સરકાર માસ્ટર મહાશય સાથે શ્યામપુકુરના મકાન સુધી આવી પહોંચ્યા. ડોક્ટર આવતા હતા રોગીને જોવા, પરંતુ રોગ વિશે થોડી વાતો કરીને પછી અન્ય ચર્ચાઓ ચાલતી. આજે પણ એવું જ થઈ રહ્યું છે. શ્રીરામકૃષ્ણ વિવેકવૈરાગ્યહીન પાંડિત્યની અસારતાની વાત કરે છે. ‘કથામૃત’માં આ ઘટનાને એમણે વારંવાર ચર્ચી છે. કેવળ પાંડિત્ય દ્વારા વસ્તુલાભ થતો નથી. એનાથી તો કેવળ બુદ્ધિની કસરત થાય છે. સાધના ન કરીને કેવળ જાણકારી એકઠી કરવાથી કામ બનતું નથી. ધર્મ કેવળ ચર્ચાનો વિષય નથી. તે અનુભવનો વિષય છે. એક વાત કોઈ વ્યક્તિના કહેવાથી મન પર તેનો કોઈ પ્રભાવ નથી પડતો, પરંતુ કોઈ બીજાને મુખેથી એ જ વાત સાંભળીએ તો હૃદયને સ્પર્શી જાય છે. એનું કારણ એ છે કે પહેલી વ્યક્તિમાં સાધનસંપદા નથી અને બીજામાં એ છે.

શ્રીરામકૃષ્ણ અને બંકિમચંદ્ર

વિદ્વાન પંડિત બંકિમચંદ્રનો પ્રસંગ ઉપાડીને શ્રીરામકૃષ્ણે ડોક્ટરને બતાવ્યું કે તેમને પ્રશ્ન પૂછ્યો હતો કે મનુષ્યનું કર્તવ્ય શું છેેે. તેના જવાબમાં બંકિમચંદ્રે હસતાં હસતાં કહી દીધું, ‘આહાર, નિદ્રા, મૈથુન.’ પરંતુ એને એ વાતનો ખ્યાલ ન હતો કે તેઓ આ વાત કોની સામે કહી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ એવા વિચારવાળા વ્યક્તિ ન હતા કે બંકિમચંદ્ર વિદ્વાન તેમજ સમાજના વિશિષ્ટ વ્યક્તિ છે એટલે એમની સાથે માનપૂર્વક બોલવું પડે. બંકિમચંદ્રની આ વાત સાંભળીને શ્રીરામકૃષ્ણને ઘૃણા થઈ. એમણે તેમની તીવ્ર ભર્ત્સના કરી. પરંતુ બંકિમચંદ્ર નારાજ ન થયા. તેઓ સમજી ગયા કે શ્રીરામકૃષ્ણ સાથે આ રીતે મજાક-મશ્કરી કરવાં યોગ્ય નથી. એટલે પછીથી તેઓ કહે છે, ‘મહાશય, એકવાર આપ અમારે ત્યાં પધારો.’ શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘જેવી ભગવાનની ઇચ્છા.’

પંડિતાઈથી વક્તા કે શ્રોતા બેમાંથી કોઈનો ઉદ્ધાર થતો નથી. પાંડિત્ય અહંકાર વધારે છે. એને પરિણામે બંધન વધુ દૃઢ થાય છે. આપણે સ્મૃતિ, શ્રુતિ, ન્યાય, મીમાંસા વગેરે બધું જાણીએ છીએ, પરંતુ ભવસાગર પાર કરવા માટે પાથેયનો સંચય કરતા નથી. આપણને તરતાં નથી આવડતું. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘એમની કૃપા થાય તો પછી શું જ્ઞાનનો અભાવ રહી જાય ખરો? હું પણ જે વાતો કહું છું, તે જ્યારે ઘટવા માંડે ત્યારે મા જગદંબા પોતાના અક્ષયજ્ઞાન ભંડારમાંથી ઘટતી રાશિ પૂરી કરી દે છે.’ (ક્રમશ 🙂

Total Views: 112

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram