ચાલો ખુશની બહેનને મળીએ

ખુશની બહેન એનાથી પાંચ વર્ષ મોટી છે. તેની ઉંમર પંદર વર્ષની છે. તે દસમા ધોરણમાં ભણે છેે. તે પોતાના બે ભાઈઓ સાથે લત્તાની પાસે આવેલ એક જ શાળામાં ભણે છે. બહેન ભણવામાં બહુ તેજસ્વી છે અને ભવિષ્યમાં ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવે છે. તે પોતાના નાનાભાઈ ખુશને ખૂબ ચાહે છે. બધાં એક મતે ખુશની પ્રશંસા કરે ત્યારે તે મૌન રહે છે. તે પોતાની જાતને ખૂબ બુદ્ધિમાન સમજે છે. જ્યારે બધા ખુશને વખાણે ત્યારે આ બહેનને તેનાં મોટાં કાર્યોમાં પણ કંઈ બહુ માલ લાગતો નથી. ખુશ સ્વામી વિવેકાનંદના આદર્શાેને આચરણમાં મૂકવામાં ભૂલ કરે તો તેની નિંદા પણ કરતી. પોતે એક મહાન ડોક્ટર બનવા ઇચ્છતી બહેન માટે ખુશને બહુ આદર. તે હંમેશાં બહેન સાથે પ્રેમ અને મૈત્રીભાવ રાખે છે. પોતાના મોટાભાઈની મંડળીમાં સામેલ ન થઈ શકતાં ખુશે ઇચ્છ્યું કે તે બહેનની મંડળીમાં ભળીને ભાગ લેશે. બહેનો ભાઈઓની જેમ નિર્દય ન બની. તેમણે એને પોતાનો નાનોભાઈ છે એમ સમજાવીને પ્રેમથી પોતાની મંડળીથી દૂર કર્યો. આનાથી એને ઘણું લાગી આવ્યું. મહાન ડોક્ટર બનીને લોકોની સેવા કરવી એવી બહેનની ઇચ્છા. તે ખુશ ‘માનવ સેવા જ પ્રભુ સેવા છે’ સ્વામી વિવેકાનંદના આ સંદેશને અનુસરે એમ ઇચ્છતી.

ખુશનું ઘર

ખુશનો જન્મ તથા ઉછેર રાજકોટમાં થયો હતો. તેમના પરિવારને રહેવા એક મોટું મકાન હતું. તેમાં ત્રણ શયનખંડ, એક મોટો હોલ અને રસોડું વગેરે હતાં. જે વિસ્તારમાં તેનો પરિવાર રહેતો હતો, તેમાં ૧૨૦૦ નિવાસી મકાન હતાં. આ વિસ્તારના બધા લોકોની વચ્ચે એક બીજા પ્રત્યે માનસન્માન અને ભાઈચારો હતાં. અનેક ઉત્સવો આ કોલોનીમાં ભક્તિભાવ અને ઉત્સાહથી ઉજવાતા. ખુશનાં માતાપિતાએ તેનાં ભાઈબહેનને વાચનલેખન માટે અલગ ઓરડો ફાળવવાનો વિચાર કર્યો. બન્ને નવમા અને દસમા ધોરણમાં હતાં. ખુશે પણ એક અલગ ઓરડા માટે વિનંતી કરી. પણ એક ઓરડો દાદાદાદી, બીજો ઓરડો માતાપિતા અને ત્રીજો ઓરડો ત્રણેય ભાઈબહેન માટે હતો. ચોથા ઓરડાની વ્યવસ્થા ન હતી. ખુશની માગ સંતોષવા બધાં એકઠાં થયાં. બધાંએ મળીને નિર્ણય કર્યો કે ખુશ પોતાની ઇચ્છા પ્રમાણે ગમે તે ઓરડામાં સૂઈ શકે અને રોજ ઓરડો બદલી પણ શકે. ત્યાર પછી પિતાએ કહ્યું, ‘ભાઈ ખુશ, તારી બહેન ૧૦મા ધોરણમાં છે અને ત્રણ વર્ષ પછી મેડિકલ કોલેજમાં દાખલ થશે અને હોસ્ટેલમાં રહેશે. એ વખતે બહેનના ઓરડાનો તું ઉપયોગ કરજે.’ ખુશ એ વાતથી રાજી હતો કે ત્રણેયમાંથી ગમે તે ઓરડામાં તે રહી શકે અને સૂઈ શકે. બાકીનાએ તો પોતપોતાના ચોક્કસ ઓરડામાં રહેવાનું છે.

ખુશ માટે આ સગવડતા થઈ ગઈ પણ મોટેભોગે તે દાદાદાદીના ઓરડામાં સૂતો. પોતાનાં દાદાદાદી પાસેથી સ્વામી વિવેકાનંદ વિશે ઘણી વાતો જાણવા અને શીખવા મળતી. સૂતાં પહેલાં દાદાદાદી સાથે મન ખોલીને વાતો કરતો અને એમનો સદ્ભાવ મેળવતો. ક્યારેક ક્યારેક તે માતાપિતા સાથે પણ સૂતો. ભાઈબહેનને મળેલા ઓરડાનો ઉપયોગ બહુ ઓછો કરતો. બન્ને ભાઈબહેન ન હોય ત્યારે ઘરઆંગણાની રમતગમત માટે તેનો ઉપયોગ કરતો.

ખુશના મકાનના બેઠકખંડમાં ભીત પર સ્વામી વિવેકાનંદનું એક રંગીન છાયાચિત્ર લગાડેલું હતું. એ ચિત્રમાં એમની આંખોનું તેજ, પહોળી છાતી પર રાખેલા બન્ને બંધ હાથ એ ખુશને હરપળે આકર્ષતાં રહેતાં. ઘણા સમય સુધી છબિની સામે બે હાથ જોડીને સ્વામી વિવેકાનંદને નીરખતો રહેતો. આવે વખતે એના મનમાં વર્ણવી ન શકાય તેવો આનંદ ઉમટતો. ખુશ એમ માનતો કે આ ચિત્રમાં સાક્ષાત્ સ્વામી વિવેકાનંદ વસે છે. એ છબિની સામે ઊભો રહીને પોતાની સફળતા કે અસફળતાની વાત એમને કહેતો. આ બધું તે એકાંતમાં કરે, એવો અને આમ કરતો કોઈ જોઈ ન શકે તેવો તે પ્રયત્ન કરતો.

ખુશે બેલૂર મઠની યાત્રા કરી

પોતાનાં માતાપિતા સાથે ખુશ એક વાર બેલૂર મઠની યાત્રાએ ગયો. બેલૂર મઠ રામકૃષ્ણ મઠ અને મિશનનું વડું મથક છે, તે કોલકાતામાં ગંગાને કિનારે આવેલો છે.

જે ઓરડામાં સ્વામી વિવેકાનંદ રહેતા હતા, તે ઓરડાને ફરી ધ્યાનથી જોયો. તેણે બેલૂર મઠનું સંગ્રહાલય જોયું. ત્યાં તેને સ્વામી વિવેકાનંદ વિશે ઘણી ઉપયોગી જાણકારી મળી. અહીં એમના જીવન સાથે સંલગ્ન રહેલી અનેક સ્મરણીય ચીજવસ્તુઓ જોવા મળે છે. કોલકાતાદર્શન વખતે ખુશનાં માતાપિતા એને સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસસ્થાને નવા બંધાયેલાં સ્મારક ભવનની મુલાકાતે પણ લઈ ગયા. આ સ્થળ જોયા પછી ખુશને ‘જોયે-જાણ્યે બેસે શ્રદ્ધા’ એ ઉક્તિ યાદ આવી. અત્યાર સુધી તો એણે માત્ર પુસ્તકો વાંચીને માહિતી મેળવી હતી. પરંતુ જ્યારે સ્વામી વિવેકાનંદ જ્યાં રહેતા હતા એ સ્થળો જોઈને ખુશના આનંદનો પાર ન રહ્યો.

આ યાત્રા પછી સ્વામી વિવેકાનંદનાં કેટલાંક સ્મરણીય સ્થળો જોઈને સ્વામીજી પ્રત્યે ખુશની શ્રદ્ધા વધુ પ્રબળ બની.

ખુશનું સ્વપ્ન જગત અને સ્વામી વિવેકાનંદ

ખુશનાં ભાઈ-બહેન તેને ખૂબ ચાહતાં હતાં, પણ તેઓ ઘણીવાર તેની ટીકા પણ કરતાં રહેતાં. એમની ટીકા-નિંદા ખુશને કેટલો આઘાત પહોંચાડે છે, એ વાતથી તેઓ જાણતાં ન હતાં, ખુશ જ્યારે જ્યારે આવાં વર્તનથી દુ :ખી દુ :ખી થઈ જતો, ત્યારે જમતો નહીં. અને વહેલો સૂવા જતો રહેતો. પોતાના આખા શરીરે ચાદર ઓઢીને છાનો માનો કોઈનેય ખબર ન પડે તેમ રડ્યા કરતો. આવી રડમસ અવસ્થામાં તે સ્વામી વિવેકાનંદના સ્વપ્ન-લોકમાં વિહાર કરતો. એ સ્વપ્નની દુનિયામાં એને અદ્ભુત અનુભવો થતા. એવી સ્વપ્ન અવસ્થામાં જાણે કે સ્વામી વિવેકાનંદ આવીને ખુશના મનના બધા સંશય દૂર કરી દેતા. સાથે ને સાથે એવા જ્ઞાનથી તેને ભરી દેતા કે તેનામાં આત્મવિશ્વાસ જગાડી દેતા.

આવા સ્વપ્નજગતમાં સ્વામી વિવેકાનંદને મળવાનો પ્રસંગ અને અનુભવ માત્ર અસફળતાની પળોમાં જ ન થતા. જ્યારે ખુશને કોઈ કાર્યમાં સફળતા કે સિદ્ધિ મળે ત્યારે પણ એ આનંદ કે ખુશીમાં સ્વામી વિવેકાનંદને ભાગીદાર બનાવવા તલસતો. આવે વખતે ખુશ રાતનું ભોજન લીધા પછી સૂવા ચાલ્યો જતો અને એયને પોતાના એ સ્વપ્ન જગતમાં વિહાર કરતો કરતો ખોવાઈ જતો.

બાલમિત્રો, હવે પછીનાં પ્રકરણોમાં ખુશ સ્વામી વિવેકાનંદ સાથે સ્વપ્નની દુનિયામાં સરી જઈ કેવી કેવી અને કેટકેટલી સારી વાતો શીખતો તે જોઈશું.

(ક્રમશ 🙂

Total Views: 83
By Published On: September 1, 2013Categories: A. R. K. Sharma, Raghaveshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram