હવે તો મારે અતિ મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવાનું છે. મને સેંકડો વાર આ દેશમાંથી નીકળી જઈને ભારત પાછા ફરવાનો વિચાર આવી ગયો હતો; પણ હવે તો હું કૃતનિશ્ચયી છું અને ઈશ્વર તરફથી મને આદેશ મળ્યો છે. હું ભલે કશો માર્ગ જોઈ શક્તો નથી, પણ ઈશ્વરની આંખો તો જોઈ શકે છે; તેથી જ, પછી જીવું કે મરું … હવે હું મોરચો છોડવાનો નથી….
અત્યારે તો હું બોસ્ટન નજીકના એક ગામડામાં એક વૃદ્ધ સન્નારીના અતિથિ તરીકે રહું છું. ટ્રેનમાં મને એની અચાનક ઓળખાણ થઈ ગઈ ને એણે મને પોતાને ઘેર રહેવા આવવાનું આમંત્રણ આપ્યું. એને ઘેર રહેવામાં મને એક લાભ છે. થોડા સમય પૂરતું તો રોજનું એક પૌંડનું મારું ખર્ચ બચી જશે; અને એને લાભ છે મિત્રોને અહીં આમંત્રીને ભારતમાંથી આવેલી એક અજાયબીભરી વસ્તુ દેખાડવાનો! પરંતુ આ બધું વેઠી લેવું જ જોઈએ. ભૂખમરો, ઠંડી અને મારા વિચિત્ર પહેેરવેશને કારણે શેરીમાં થતો હુરિયો : એ બધાં સામે મારે જંગ ખેલવાનો છે. પરંતુ પ્રિય વત્સ ! મહાન પુરુષાર્થ વિના મહાન કાર્ય કદાપિ સાધી શકાયાં નથી.
… ત્યારે હવે એટલું જાણી લો કે આ ખ્રિસ્તીઓની ભૂમિ છે અને એ ધર્મ સિવાય બીજા કોઈની અસર અહીં નહિવત્ છે. જગતમાં કોઈ વાદીઓની દુશ્મનાવટની પણ હું લેશમાત્ર પરવા કરતો નથી. હું તો અહીં મેરીપુત્ર (ઈશુ)નાં સંતાનો વચ્ચે આવીને બેઠો છું અને પ્રભુ ઈશુ જ મને સહાય કરશે. હિંદુ ધર્મના ઉદાર વિચારો અને નાઝરેથના એ પયગમ્બર પ્રત્યેનો મારો પ્રેમ તેમને ખૂબ ગમી ગયો છે. હું તો એ લોકોને કહું છું કે ગેલીલીના એ મહાત્માની વિરુદ્ધ હું કશો જ પ્રચાર કરતો નથી. હું તો ખ્રિસ્તીઓને એટલું જ કહું છું કે ‘પ્રભુ ઈશુની સાથોસાથ ભારતના મહાત્માઓનો પણ સ્વીકાર કરો.’ મારા આ કથનની તેઓ કદર કરે છે. (સ્વા.વિ. ગ્રંથમાળા : ભાગ ૬ : ૮૯ પત્રોમાંથી)
Your Content Goes Here



