અંગ્રેજી પુસ્તક ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેકિંગ’માં શ્રી અરવિંદ તથા પોંડીચેરીનાં શ્રીમાતાજીના પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી વિવેકાનંદનો પ્રભાવ આજે પણ ભવ્ય રીતે કાર્યરત છે

સર્વપ્રથમ ભારતનો પ્રાણ ધર્મમાં જાગી ઊઠ્યો અને વિજયી બન્યો. પુરોગામી દેવદૂતો પ્રત્યેના આદરભાવની વાત તો છે જ પણ જ્યારે કોલકાતાના ભણેલ ગણેલ યુવપુષ્પ એક અભણ હિંદુ અધ્યાત્મવાદી, સ્વયંભૂ દિવ્ય જ્યોતિ પામનાર અને સમાધિસ્થ, વિદેશી વિચારો કે કેળવણીના સંસ્પર્શવિહોણા અધ્યાત્મજ્ઞાનીને ચરણે માથું નમાવે છે, ત્યારે ખરેખર મહાયુદ્ધમાં વિજય થયો. પોતાના ગુરુદેવ દ્વારા વીર આત્મારૂપે અંકિત થયેલ સ્વામી વિવેકાનંદ સમગ્ર વિશ્વને પોતાની બાથમાં લઈ લેશે – આલિંગશે અને એનું પરિવર્તન કરશે, આ હકીકત ભારત સુદીર્ઘકાળ સુધી ટકી રહેવા પુન :જાગૃત થયું છે અને વિજયી બનશે તેનું એક વિશ્વની નજરે પડતું ચિહ્ન હતું… એક વખત રાષ્ટ્રનો પ્રાણ ધર્મમાં જાગી ઊઠે તો સમય જતાં અને અવસર આવતાં તે પોતે પોતાની જાતને બધી આધ્યાત્મિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓ માટે રાષ્ટ્રના અસ્તિત્વમાં અને તેના પર સ્વયંભૂ કાબૂ મેળવવા ઝંપલાવી દેશે.

વિવેકાનંદ સદૈવ શક્તિનો પ્રબળ આત્મા હતા, તેઓ નરોમાં સિંહ હતા. પરંતુ એમણે જે ચોક્કસ કાર્ય આપણી સમક્ષ મૂક્યું છે તે એમની સર્જનાત્મક શક્તિ અને ઊર્જા વિશેની આપણી છાપની સરખામણીએ અસામાન્ય છે. આપણે જાણીએ સમજીએ છીએ કે એમનો પ્રભાવ આજે પણ ભવ્યરૂપે કાર્ય કરી રહ્યો છે, પરંતુ આપણે તે કેવી સારી રીતે અને ક્યાં કાર્ય કરી રહ્યો છે તે જાણતા નથી. અને છતાં પણ કંઈક સિંહસમું, ભવ્ય, અંત : પ્રેરણાત્મક, ઊર્ધ્વગામી તત્ત્વ ભારતના પ્રાણમાં પ્રવેશી ગયું છે અને આપણે બોલી ઊઠીએ છીએ, ‘જુઓ, ભાઈઓ જુઓ, આજે પણ સ્વામી વિવેકાનંદ તેની માતૃભૂમિના પ્રાણમાં અને ભારતમાતાનાં સંતાનોના પ્રાણમાં ધબકી રહ્યા છે’.

-શ્રી અરવિંદ

એમની એ મહાન સહાય

૧૯ અને ૨૦ વર્ષની વય વચ્ચે મેં દિવ્યાનુભૂતિ સાથે સતત અનુભૂતિ અને ઐક્ય પ્રાપ્ત કર્યાં.. આ બધું મેં મારી જાતે કોઈની પણ મદદ મેળવ્યા વિના સાધ્યું. થોડા સમય પછી જ્યારે મારા હાથમાં સ્વામી વિવેકાનંદનું ‘રાજયોગ’નામનું પુસ્તક આવ્યું. મને તે અત્યંત ભવ્ય અને અસાધારણ લાગ્યું અને મને એવું જણાયું કે કોઈક મને કંઈક સમજાવી શકે તેમ હતું. આ વાણીએ મને વર્ષો સુધીની સાધના પછી શક્ય બને એવું કંઈક થોડા જ મહિનામાં મેળવવા શક્તિમાન બનાવી.

– શ્રીમાતાજી

Total Views: 119
By Published On: November 1, 2013Categories: Arvind0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram