રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગીતાનંદજી મહારાજ (વાસુદેવ મહારાજ)૧૪ માર્ચ, ૨૦૧૪ સવારે ૯:૧૦ કલાકે સેવાપ્રતિષ્ઠાન, કોલકાતામાં બ્રહ્મલીન થયા છે. તેમની ઉંમર ૯૦ વર્ષની હતી.
તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી વૃદ્ધાવસ્થાની માંદગીઓથી પીડાતા હતા. ૮ ફેબ્રુઆરીના રોજ તેમને તાવ અને ન્યૂમોનિયાને લીધે સેવાપ્રતિષ્ઠાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમને આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. ૧૬મી ફેબ્રુઆરીએ એમની તબિયત વધારે બગડી અને ૧૪ માર્ચ, ૨૦૧૪ સવારે ૯:૧૦ કલાકે સેવાપ્રતિષ્ઠાન, કોલકાતામાં બ્રહ્મલીન થયા છે.
તેમનો જન્મ હાલના બાંગલા દેશના ઢાકા જિલ્લામાં આરિયલ ગામમાં ૧૭ એપ્રિલ, ૧૯૨૪માં થયો હતો. તેમણે વીરજાનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા લીધી હતી. ત્યાર પછી ૧૯૪૬માં ચેન્નાઈ મઠમાં જોડાયા. તેમણે ૧૯૫૬માં તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી શંકરાનંદજી મહારાજ પાસેથી સંન્યાસ દીક્ષા લીધી હતી. તેમણે બેલુર મઠમાં અને કાનપુર કેન્દ્રમાં મદદનીશ તરીકે પોતાની સેવાઓ આપી હતી. રાંચી સેનેટોરિયમ, વારાણસી હોમ ઓફ સર્વિસ અને કાંકુડગાછી કેન્દ્રોમાં અધ્યક્ષ તરીકે પોતાની સેવાઓ આપી હતી. સ્વામી વીરજાનંદજી મહારાજના તેઓ અંગત મદદનીશ અને શ્રીમત્ સ્વામી શંકરાનંદજી મહારાજના સેક્રેટરી તરીકે પણ પોતાની સેવાઓ આપી હતી.
૧૯૭૩ના એપ્રિલમાં તેઓ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની સંવાહક સમિતિના સભ્ય બન્યા હતા. ૧૯૭૪ના જૂનમાં તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિસ્ટન્ટ સેક્રેટરી અને ૧૯૭૫ના એપ્રિલમાં તેઓ ખજાનચી તરીકે નિમાયા હતા. ૧૯૮૫માં તેઓ ફરીથી આસિસ્ટન્ટ સેક્રેટરી બન્યા અને એક દશકા સુધી પોતાની સેવાઓ આપી હતી.
એપ્રિલ, ૨૦૦૩માં તેઓશ્રી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષરૂપે નિમાયા હતા અને અંતિમ શ્વાસ સુધી એમણે આ પદે રહીને પોતાની સેવાઓ આપી હતી. દેશના જુદાજુદા ભાગોમાં એમણે જિજ્ઞાસુઓને મંત્રદીક્ષા આપીને પોતાના આશીર્વાદ આપ્યા હતા. એમના બંગાળી ભાષામાં ‘શ્રીરામેર અનુધ્યાન’ અને ‘ભાગવત’ કથા એ બે મૂલ્યવાન ગ્રંથો પ્રકાશિત થયા છે.
૧૪ માર્ચ, ૨૦૧૪ સ્વામી ભજનાનંદ
બેલુર મઠ, હાવરા આસિસ્ટન્ટ સેક્રેટરી
Your Content Goes Here



