‘શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ’માંથી સંકલિત – સં.
જીવનમાં બાળસ્વરૂપ એ ખરેખર ભગવાનનું રૂપ છે. એમાંય દેવસંતાનોની લીલા કંઈક અનન્ય જ છે. એમનાં બાળજીવનમાંથી આપણને ઘણો બોધપાઠ મળે છે.
ભગવાન શંકર અને પાર્વતીના પુત્રો કાર્તિકેય અને ગણેશ મા પાસેથી ઘણાં લાડપ્રેમ મેળવીને રાજી રાજી છે. પિતા પણ લાડપ્રેમ સાથે એમને પૂરેપૂરા કેળવે છે. આમ માતા પાર્વતી અને પિતા શિવના આશ્રયમાં આ બન્ને બાળકો ઊછરી રહ્યાં છે અને પોતપોતાની રીતે પોતપોતાના ક્ષેત્રમાં કૌશલ્ય કેળવી રહ્યાં છે.
એક વખત બન્ને પુત્રો મા પાર્વતી પાસે બેઠા છે, હિમાલયની પર્વતમાળાના સૌંદર્યને માણી રહ્યા છે, માના લાડમાં લહેરી રહ્યા છે. એ વખતે માતા પાર્વતીને ઇચ્છા થઈ કે આ બન્ને બાળકોની ચાતુરીની પરીક્ષા કરીએ. કાર્તિકેય અને ગણેશ મા ભગવતી પાસે બેઠા હતા. માના ગળામાં સુંદર મજાની રત્નમાળા શોભતી હતી. માતાએ બન્ને પુત્રોની પરીક્ષા લેવા કહ્યું, ‘તમારા બન્નેમાંથી જે બ્રહ્માંડની પ્રદક્ષિણા કરીને પહેલો આવશે તેને હું આ રત્નમાળા આપીશ.’
ગણેશજી તો દુંદાળા અને તેનું વાહન પણ ઉંદર. બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવી એને માટે આકરી છે અને અશક્ય પણ છે, એવું કાર્તિકેયે વિચાર્યું. કાર્તિકેયનું વાહન મોર. એ પણ ઝડપથી ઊડી શકે એટલે કાર્તિકેય તો પોતાના વાહન મોર પર બેસીને નીકળી પડયા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવા. એને એટલી ખાતરી હતી કે ગણેશ કરતાં તે વહેલી પ્રદક્ષિણા પૂરી કરી લેશે. આ બાજુ ગણેશજીએ વિચાર કર્યો કે મારાં માતા પાર્વતીએ તેમની અંદર જ સમગ્ર બ્રહ્માંડને ધારણ કર્યું છે. તેઓ જગદ્ધાત્રી છે અને આમેય માતામાં બધાં તીર્થાે સમાયેલાં છે. માની પ્રદક્ષિણા એટલે બ્રહ્માંડની પ્રદક્ષિણા ગણાય અને સર્વ તીર્થાેની યાત્રા ગણાય. આમેય ગણેશજી હતા બુદ્ધિશાળી. એટલે જ સર્વ પૂજાઓમાં ગણેશજીનું પહેલું પૂજન થાય છે. તેમણે તો માને પ્રણામ કરીને નિરાંતે પ્રદક્ષિણા કરી લીધી. પછી તેઓ દંડવત્ પ્રણામ કરીને મા ભગવતી સામે ઊભા રહ્યા. ગણેશની બુદ્ધિચાતુરી અને માતૃપ્રેમથી મા ભગવતી પ્રસન્ન થયાં અને તેમના ગળામાં રત્નમાળા પહેરાવી દીધી. ઘણા સમય પછી કાર્તિકેય પણ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરીને આવ્યા અને તેમને પોતાના ભાઈ ગણેશને રત્નમાળા પહેરીને બેઠેલા જોયા. બધી વાત જાણ્યા પછી કાર્તિકેય પણ એ જોઈને પ્રસન્ન થયા. આમ, બાળ ગણેશે પોતાનાં માતામાં સમગ્ર બ્રહ્માંડને જોયું.
Your Content Goes Here



