સંકટ સમયે નરેન્દ્રની હિંમત અને નિષ્ઠા ખીલી ઊઠતી. નરેન્દ્રના ઘરની પાસે એક વ્યાયામશાળા હતી. ભાઈબંધોને લઈ જઈને નરેન્દ્ર ત્યાં કસરત કરવા જતો. એક વખતે ત્યાં હીંચકો બાંધવા માટે એક મોટું લાકડાનું ચોકઠું ઊભું કરવાનું હતું. પણ એ ચોકઠું મોટું તોતિંગ જેવું ખૂબ ભારે હતું. છોકરાઓ ખૂબ મહેનત કરતા હતા, છતાં એને ઊભું કરી શક્યા ન હતા. રસ્તા ઉપર ઊભા રહી જોનારાઓમાં એક અંગ્રેજ ખલાસી પણ હતો. તે મદદે આવ્યો.
ખલાસીએ હાથ દીધો, એટલે ચોકઠું ધીમે ધીમે ઊંચું થવા લાગ્યું ત્યાં તો દોરડું અચાનક તૂટી ગયું અને ખલાસીના કપાળમાં વાગ્યું. તે બેભાન થઈ ગયો અને કપાળમાં ચીરો પડીને લોહી નીકળવા લાગ્યું. લોકોએ જાણ્યું કે ખલાસી મરી ગયો! એટલે બધા ગભરાઈને નાસી ગયા.
નરેન્દ્ર અને બે ત્રણ દોસ્તો નાસી ન જતાં ઊભા રહ્યા. નરેન્દ્રે તરત જ પોતાનું ધોતિયું ફાડીને તેનો પાટો બાંધી દીધો અને દોસ્તો પાણી લાવીને તેના માથા પર છાંટવા અને પવન નાખવા લાગ્યા. થોડી વારે લોહી નીકળતું બંધ થયું અને ખલાસી ભાનમાં આવ્યો. એટલે બધા મળીને એને ઊંચકીને પાસેની શાળાના મકાનમાં લઈ ગયા. પછી દાક્તરને બોલાવીને તેને દવા, મલમપટ્ટીની વ્યવસ્થા કરી આપી. નરેન્દ્રની સેવાથી અઠવાડિયામાં ખલાસી સાજો થઈ ગયો.
Your Content Goes Here



