(અનુવાદક : કુસુમબહેન પરમાર)

ગયા અંકમાં બ્રહ્મ એટલે શું, સંન્યાસાશ્રમ અને ગૃહસ્થાશ્રમ વિશે વાંચ્યું, હવે આગળ…

(પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી સુહિતાનંદજી એમ સમજવું.)

૨૦-૧૨-૫૮

આશ્રમમાં એક વ્યક્તિ કામ કરે છે, પરંતુ બધું અવ્યવસ્થિત જોઈને મહારાજે કહ્યું, ‘સંસારત્યાગનો અર્થ શો છે? (એનો અર્થ છે) – સંસારનું અતિક્રમણ કરવું, એને છોડવો નહીં. જે લોકો સંન્યાસી છે, જે મોક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તે લોકો જો સંસારની સામાન્ય વસ્તુને વ્યવસ્થિત ન કરી શકે તો એમનું સંન્યાસી બનવું ઉચિત નથી.

બહારના જે સાધુઓને જુઓ, તેમને ઘણી સાવધાની સાથે વિચાર કરીને જોઈ લેવા. સાંભળ્યું નથી, તે સજ્જન કહી રહ્યા છે – કેદાર, બદ્રીના રસ્તાના કિનારે ઝૂંપડી બનાવીને સાધુ લોકો ધ્યાનમાં બેઠા છે. એ સજ્જન તે સાધુઓ ઘણા સારા છે એમ કહે છે. જો સાધુ સારા હોય તો શું તે રસ્તાને કિનારે બેસત? થોડા દિવસ પહેલાં એક મૌની આવ્યા હતા, એમણે વ્રત લીધું કે તેઓ કેટલાંક વર્ષ સુધી વાતચીત નહીં કરે, મૌન રહેશે. અને એક બાજુ મોટા અને મોટા કાગળ પર પોતાની વાતો લખ્યે રાખે છે. અરે બાપરે! કેટલું ચંચળ મન ! થોડા દિવસો પછી આ જ ‘મૌની બાબા’ ના નામે વિખ્યાત થઈ જશે.’

એ દિવસે તમારી સામે જ એક સાધુને કોઈએ પૂછ્યું, ‘આપનું નામ શું છે? કોણ મહર્ષિ?’ તેમણે મજાકમાં ઉત્તર આપ્યો, ‘મહર્ષિ નહીં, અર્શી. હમણાં જ મને અર્શ (હરસ) શરૂ થયા છે, થોડા સમય પછી મહર્ષિ બનીશ.’

થોડા દિવસથી પ્રેમેશ મહારાજજીના અનુરોધથી સેવક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલું ‘કૃષ્ણચરિત્ર’ નામનું પુસ્તક વાંચે છે. સાંભળીને મહારાજ કહેવા લાગ્યા – શ્રીકૃષ્ણે ભારતીય સંસ્કૃતિને ઉન્નત કરી. ત્યાર પછી બુદ્ધે આવીને મોક્ષલાભનો માર્ગ બતાવ્યો, જે કેવળ બુદ્ધિજીવીઓ માટે લોકપ્રિય બન્યો. બુદ્ધે કરુણાની શક્તિથી જગતને ખૂબ ઉન્નત કર્યું. એના કારણે મોક્ષ સામાન્ય લોકો માટે પણ સુગમ બની ગયો. ચૈતન્યદેવે વિચાર્યું કે સામાન્ય લોકો માટે મોક્ષ નથી. મોક્ષ તો થોડા લોકો માટે જ છે. એ સમજીને એમણે એ લોકો માટે ભક્તિ અને હરિનામ પર ભાર દીધો. આ વખતે શ્રીઠાકુર બધું સ્પષ્ટ કરવા ઇચ્છતા હતા, એટલે એમણે બધાં વિશે કહ્યું – જેને જે વસ્તુની આવશ્યકતા હોય તે તેને ગ્રહણ કરે.

સમાજ જ્યારે પૂર્વ દિશા તરફ ઝૂકીને વાંકો થઈ જાય છે ત્યારે તેને સીધો કરવા માટે પશ્ચિમ દિશા તરફ વધારે ખેંચવો પડે છે, ત્યારે તે થોડો સીધો થાય છે. જેવી રીતે બ્રાહ્મણયુગમાં પશુબલિમાં વધારો થયો, તો બુદ્ધે અહિંસાનો સંદેશ આપ્યો.

૦૧-૦૧-૧૯૫૯

શ્રીશ્રીમાની તિથિપૂજા

મહારાજ – શ્રીશ્રીમાને સમજ્યા નહીં, એટલે શ્રીમા પાસેથી દીક્ષા લીધી અને એક વ્યક્તિ તો દીક્ષા લેવાની આવશ્યક્તા જ સમજી નહીં. મને અહંકાર હતો કે હું સાધના કરીને એમને પ્રાપ્ત કરી લઈશ. જેવી રીતે એક માણસે કાશી જઈને શિવજીને મળીને પૂછ્યું, ‘શિવજી પાસે જવા માટે કયા માર્ગે આવવું પડશે?’ શિવજીએ કહ્યું, ‘હાવડાથી ટ્રેન પકડીને આવવું પડે.’ આપણે લોકો બરાબર એવા જ છીએ. મેં શ્રીશ્રીમા શારદા દેવીને પૂછ્યું, ‘શું આપને પામવા જપ કરવા પડશે?’ શ્રીશ્રીમા થોડું હસ્યાં.

સેવક – શું જ્ઞાન થવાથી પોતાનો ‘હું’ ચાલ્યો જાય ?

મહારાજ – મેં તમને બતાવ્યું છે કે અનાથ બાળક સમ્રાટ થઈ જાય છે. ‘હું’ વધતાં વધતાં વિશ્વવ્યાપી બની જાય છે.

૨૬-૦૧-૧૯૫૯

આ જગત ત્રણ ગુણોનું બનેલું છે. એમાંથી એકને પણ છોડી દેવાથી ચાલે નહીં. કોઈ કોઈ કહે છે કે સત્યયુગમાં બધા લોકો ધાર્મિક હતા, પરંતુ સાવ એવું જ ન હતું. જગત તો ત્રણ ગુણોની સમષ્ટિ છે. ચિરકાળથી આ જ ખેલ ચાલી રહ્યો છે. જેમણે આ જગતની રચના કરી છે, તેઓ અત્યંત રસિક છે. વિસ્મયમાં નાખીને તેઓ પોતે દૂરથી બધું જોઈ રહ્યા છે અને સંપૂર્ણ આનંદનો ઉપભોગ કરી રહ્યા છે.

સેવક – શાસ્ત્રોમાં છે કે અનુભૂતિ વિના સમબુદ્ધિ થતી નથી. તો પછી આપણે લોકો બૌદ્ધિકતાથી જે પ્રયત્ન કરીએ છીએ, તે શું પાખંડ છે?

મહારાજ – એવું કેમ થાય, શું એ સાધના નથી? એનો પ્રતિદિન અભ્યાસ કરતાં કરતાં એમની કૃપાથી અનુભૂતિ કેમ ન થાય?

૧૦-૦૨-૧૯૫૯

કેટલાક દિવસોથી મહારાજનું શરીર સ્વસ્થ નથી. કોઈપણ અવાજથી તેમનું હૃદય કંપી ઊઠે છે.

મહારાજ – શું હું અવસાદગ્રસ્ત થઈ ગયો છું. બધાથી કષ્ટ થાય છે. યા સર્વં દુ :ખમયં જગત્ – આ સંસારનું સર્વકંઈ દુ :ખમય છે. જુઓ એક શિયાળ લારી કરે છે. એમ હોઈ શકે કે તે ઠંડીથી પોતાના શરીરને બચાવવાનો પ્રયાસ કરે છે. પોતાને શિયાળનો દેહ વિચારીને કેટલું દુ :ખ અનુભવે છે. આ જુઓ, આપણો કર્મચારી નીરણ તૈયાર કરીને ગાયને બોલાવે છે-‘શીતલા ખાઈશને, આવી જા.’ જુઓ જુઓ, શીતલા દોડીને નીરણ ખાવા આવી રહી છે. સંપૂર્ણ વિશ્વનો એક જ નિયમ છે, પ્રેમ! પ્રેમ એ જ એક માત્ર ધન છે. (ક્રમશ 🙂

Total Views: 100

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram