જેવી રીતે વાયુ વાદળાંને હાંકી કાઢે છે, તેવી જ રીતે ભગવાનનું નામ મનને ઢાંકી દઇને વિષયલોલુપતાના મેઘને છિન્નભિન્ન કરી નાખે છે.
માણસ બીજાનાં દૂષણ જુએ છે ત્યારે પહેલાં તો તેનું મન અપવિત્ર થઈ જાય છે. બીજાનાં દૂષણ જોવાથી તેને શો લાભ? એમ કરીને તો તે પોતાને જ નુકસાન કરે છે. મારી બાલ્યાવસ્થાથી જ હું કોઈના દોષ જોઈ શકતી નહીં. એ-દોષ જોવાની- એક વાત હું જિંદગીમાં કદી શીખી નથી.
ભગવાન પ્રત્યે અનુરાગ-ખેંચાણ ન હોય તો પણ નામજપથી તમે સફળતા પામશો. તમે પોતાની મેળે પાણીમાં કૂદી પડો કે કોઈ તમને પાણીમાં ધકેલી દે, બન્ને રીતે તમારાં કપડાં ભીનાં થઈ જશે. ખરું ને ? તમારું મન હજી પાકું થયું નથી, માટે દરરોજ ધ્યાન ધરો. ધ્યાનના અભ્યાસથી તમારું મન કેન્દ્રિત થશે. સદા સત્- અસત્ નો વિચાર કરો. જ્યારે જ્યારે કોઈપણ વિષય તરફ આકર્ષણ થાય, ત્યારે તેની ક્ષણભંગુરતાનો વિચાર કરો અને મનને ઈશ્ર્વર ઉપર એકાગ્ર કરવાનો પ્રયત્ન કરો.
જીવનમાં આઘાતો સહન કર્યા પછી ઘણાં પ્રભુનું નામ લે છે. પરંતુ ભગવાનને શ્રીચરણે જે નાનપણથી જ પોતાનું મન પુષ્પની માફક ધરી શકે તે ખરેખર ભાગ્યશાળી છે.
મન સ્વાભાવિક રીતે જ અનિષ્ટ તરફ વળે છે; સત્કર્મ કરવાની તેની મરજી હોતી નથી. સવારે વહેલાં ઊઠીને ધ્યાન ધરવાની મને ટેવ હતી. પરંતુ એકવાર નાદુરસ્ત તબિયતને લીધે હું એટલી વહેલી ઊઠી શકી નહીં. મનની કુદરતી આળસ જ એવી છે કે ત્યાર પછી યે કેટલાય દિવસો સુધી મને ઊઠવામાં મોડું થઈ જતું. એટલા માટે જો તમારે કંઈ શુભ અને મહાન વસ્તુ મેળવવી હોય તો તત્પરતા રાખવી.
સ્ત્રીઓને
લજ્જા એ જ સ્ત્રીઓનું એક માત્ર આભૂષણ છે. દેવની મૂર્તિને ચરણે ધરવામાં આવે ત્યારે પુષ્પ ધન્યતા અનુભવે છે. નહીં તો પછી ફૂલ છોડ ઉપર કરમાઈ જાય, એ જ ઇચ્છવા યોગ્ય છે. આવાં ફૂલોનો ગજરો બનાવી હું કોઈ અક્કડને સૂંઘતાં અને ‘વાહ ! કેવી સુગંધ છે’, એમ કહેતાં સાંભળું છું, ત્યારે મને ખૂબ જ દુ:ખ થાય છે.
સ્ત્રીઓએ આમ સહેલાઈથી મિજાજ ગુમાવી બેસવો ન જોઈએ. તેમણે સહનશીલ થતાં શીખવું જોઈએ. નાનપણમાં મા-બાપ તેમનાં રક્ષણકર્તા છે અને યુવાનીમાં તેમના પતિ. મોટે ભાગે સ્ત્રીઓ બહુ લાગણીપ્રધાન હોય છે. એકાદ શબ્દથી તેઓ મન પરનો કાબૂ ખોઈ બેસે છે. અને આ જમાનામાં શબ્દો તો બહુ સસ્તા થઈ ગયા છે ! સ્ત્રીઓએ ધીરજ કેળવવી જોઈએ અને મુશ્કેલીઓ હોય છતાં માબાપ અથવા પતિ સાથે સમાધાનથી વર્તવું જોઈએ. (દિવ્યકૃપા, પૃષ્ઠ 35-38)
Your Content Goes Here



