સ્વામી તુરીયાનંદ મહારાજ કેલિફોર્નિયાના શાંતિ આશ્રમમાં લગભગ દોઢ વર્ષ હતા. તેઓએ નિષ્ઠાપૂર્વક આશ્રમનું કાર્ય શરૂ કર્યું હતું. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્ન ભિન્ન ધારણાઓ સાથે આવેલ ધર્મપિપાસુઓને હંમેશાં ધાર્મિક શિક્ષણ આપવાથી તેઓને ખૂબ જ માનસિક થાક લાગતો. પરિણામે તેમનામાં શારીરિક દુર્બળતા આવી ગઈ અને સ્વાસ્થ્ય કથળ્યું. બધાએ અનુભવ કર્યાે કે તેમને વાયુપરિવર્તન અને વિશ્રામની જરૂર છે.

સ્વામી તુરીયાનંદ મહારાજે ઘણી વાર પોતાના પ્રિય ગુરુભાઈ સ્વામી વિવેકાનંદને મળવાની આંતરિક ઇચ્છા વ્યક્ત કરી હતી. લાંબી સમુદ્રયાત્રા અને સ્વામીજીને મળતાં તેમનું સ્વાસ્થ્ય સારું થશે અને નવા ઉત્સાહ તેમજ આગ્રહ સાથે તેઓ પાછા આવશે- એવી આશાથી સર્વ આશ્રમવાસીઓએ પ્રથમ વર્ગના મુસાફરી ખર્ચની વ્યવસ્થા કરી અને સ્વામી તુરીયાનંદ મહારાજે તે માટેના પ્રસ્તાવને સહમતિ આપી. મુસાફરીનો દિવસ નક્કી થયો.

શાંતિ આશ્રમના છેલ્લા દિવસોમાં તેઓની શારીરિક શક્તિ ક્ષીણ થવા લાગી હતી. પરંતુ વચ્ચે વચ્ચે તેઓને સ્વસ્થતા લાગતી અને જ્યારે શ્રીઠાકુર, સ્વામીજી અને જગદંબાની વાતો કહેતા ત્યારે ફરી તેઓ આધ્યાત્મિક આવેગ અને શક્તિથી પૂર્ણ થઈ જતા. શારીરિક દુર્બળતા ક્યારેય તેમના મનને વિષાદપૂર્ણ થવા દેતી ન હતી. અર્થાત્ ક્યારેય ઈશ્વરસાધનામાં વિક્ષેપ પડવા દેતી નહીં. તેઓ મને કહેતા, ‘માત્ર મારું શરીર થાકી ગયું છે, મારું મન નિર્મળ અને સશક્ત છે. મને વિશ્રામની આવશ્યકતા છે. સ્વામીજીને મળીને હું ફરીથી પાછો આવીશ.’

એક દિવસ સાંજે મેં સ્વામી તુરીયાનંદની કેબીનમાં પ્રવેશ કર્યાે કે તરત જ તેમણે પોતાના એક દિવ્ય દર્શનનની વાત મને કહી. જગન્માતાએ તેમની સામે પ્રગટ થઈને તેમને શાંતિ આશ્રમમાં જ રહેવાનું કહ્યું, પરંતુ તેઓ રાજી ન થયા. જગન્માતાએ તેમને કહ્યું કે જો તેઓ આશ્રમમાં રહેશે તો અશ્રમની પ્રગતિ ઝડપથી થશે તથા અતિ સુંદર ભવનનું નિર્માણ થશે. છતાં પણ તેઓએ અસ્વીકાર કર્યાે. અંતે મા જગદંબાએ તેમને ત્યાં ઘણા શિષ્યોનું એકત્રીકરણ બતાવ્યું. સ્વામી તુરીયાનંદે કહ્યું, ‘સ્વામીજીને મળવા માટે હું એક વાર તો ભારત જઈશ જ.’ તેથી જગન્માતા ગંભીર વદને અંતર્ધ્યાન થઈ ગયાં.

આ દર્શનથી સ્વામી તુરીયાનંદ દુઃખી અને ચિંતિત થઈ ગયા. તેઓ એક દીર્ઘ નિઃશ્વાસ નાખીને બોલ્યા, ‘જગદંબાના આદેશને ન માનીને મેં ભૂલ કરી છે, પરંતુ હવે તેનો કોઈ ઉપાય નથી.’ થોડા દિવસ પછી તેઓ શાંતિ આશ્રમથી સાનફ્રાન્સિસ્કો જતા રહ્યા. છેલ્લા દિવસે સવારે જ્યારે હું તેમની યાત્રાની વ્યવસ્થા કરતો હતો ત્યારે તેમણે મને પોતાની કેબીનમાં બોલાવ્યો. કેબીનમાં પ્રવેશતાં જોયું કે તેઓ પ્રશાંત વદને જમીન પર બેઠા છે. મને ઇશારાથી સામે બેસવાનો નિર્દેશ કરીને અતિ મધુર સ્વરે બોલ્યા, ‘ગુરુદાસ, મેં તારા માટે આ આશ્રમ સ્થાપિત કર્યાે છે. અહીંયાં શાંતિથી રહો,’ એક ક્ષણ મૌન રહીને તેઓ બોલ્યા, ‘જેઓ જગન્માતાના સંતાનરૂપે રહેવા ઇચ્છે તેઓ માટે જ આ આશ્રમ છે. તારા ઉપર આ આશ્રમનો સંપૂર્ણ ભાર રહેશે. હું તને બધું કહું છું. તારી પાસે મેં કંઈ જ છુપાવ્યું નથી. મારા મનના ગંભીર વિચારો પણ મેં તારી સમક્ષ વ્યક્ત કર્યા છે. તેં જોયું છે કે હું કેવી રીતે જીવન વિતાવું છું. હવે તેવી રીતે રહેવાનો તું પણ પ્રયત્ન કર.’

મેં કહ્યું, ‘પરંતુ સ્વામી, મારા માટે અસંભવ છે.’ સ્નેહથી મારી સામે જોઈને સ્વામી તુરીયાનંદ બોલ્યા, ‘બધી બાબતો માટે જગદંબા પર નિર્ભર રહે. તેમના ઉપર વિશ્વાસ રાખ. તેઓ જ તને માર્ગદર્શન આપશે. તેઓ તને ક્યારેય ગેરમાર્ગે જવા નહીં દે. હું એ બાબતે નિશ્ચિંત છું. એક વાત મનમાં યાદ રાખ- કોઈના ઉપર વર્ચસ્વ ન રાખવું. બધા સાથે સમાનતા રાખવી અને સમાન વ્યવહાર કરવો. કોઈના પ્રત્યે પક્ષપાત ન કરવો. બધાની વાત સહાનુભૂતિપૂર્વક સાંભળવી અને ન્યાયના માર્ગનો આશ્રય લેવો.’ મેં કહ્યું, ‘હું પ્રયત્ન કરીશ પરંતુ આ કાર્ય મારા માટે ખૂબ જ જવાબદારીભર્યું છે.’

સ્વામી તુરીયનંદે કહ્યું, ‘તું શા માટે જવાબદારીની વાત વિચારે છે? જગદંબા જ બધો ભાર લે છે. તેં તેમની સેવામાં તારી જાતને અર્પિત કરી છે. તને ભય શેનો? ખૂબ જ સરળ થજે તથા તેમને હંમેશાં યાદ કરજે.’

ત્યારે તેઓ સૂર કાઢીને ૐ ૐ ૐ એમ ઉચ્ચારણ કરવા લાગ્યા તથા તે જ તાલમાં તેમનો દેહ ડોલવા લાગ્યો. થોડી ક્ષણો પછી તેઓ સ્થિર થયા. અને ટટ્ટાર થઈને બેઠા. પછી મોટા અવાજે બોલ્યા, ‘કામ, ક્રોધ, ઈર્ષા અને અહંકારનું દમન કર. કોઈની પાછળ તેની નિંદા ન કરવી. બધા વિષયોની ખુલ્લા મનથી સામસામે જ ચર્ચા કરવી. જો કોઈ કાર્ય કરવાનું હોય તો તારે સૌ પ્રથમ શરૂઆત કરવી, ત્યાર પછી બીજા બધા જોડાશે. તું શરૂઆત નહીં કરે તો કોઈ નહીં કરે. તું જાણે છે, તે માટે જ મેં અહીંયાં તમામ પ્રકારનાં શારીરિક કાર્ય કર્યાં છે.’ મેં કહ્યું, ‘પરંતુ વર્ગ કોણ લેશે? હું શું શિક્ષણ આપીશ? હું પોતે તો વિદ્યાર્થી છું.’

સ્વામી તુરીયાનંદે કહ્યું, ‘તું હજી સમજ્યો નથી. આદર્શ જીવનયાપન જ સાચી વસ્તુ છે. જીવનથી જ જીવનની સૃષ્ટિ થાય. સેવા કરો, સેવા કરો, સેવા કરો- આ જ શ્રેષ્ઠ શિક્ષણ છે. નમ્ર બનો, બધાના સેવક બનો. જે સેવા કરવા તૈયાર છે તે વ્યક્તિમાં જ સંચાલન કરવાની ક્ષમતા છે. તેં અમારી પાસે ઘણાં વર્ષાે સુધી વેદાંતનું અધ્યયન કર્યું છે. જે તું જાણે છે, તે જ તું શીખવ. તું જેવી રીતે આપીશ, તેવી રીતે પામીશ.’

મેં કહ્યું, ‘તમારી અનુપસ્થિતિમાં અમારી અવસ્થા ભરવાડ વિનાના ઘેટાંના ટોળા જેવી થશે.’ સ્વામી તુરીયાનંદ ગંભીર થઈને બોલ્યા, ‘હું તમારી પાસે સૂક્ષ્મદેહે રહીશ.’ ત્યાર બાદ ઘોડાગાડી આવી. સ્વામી તુરીયાનંદ યાત્રા માટે તૈયાર થયા. મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપતાં બોલ્યા, ‘તું જગદંબાનો અને જગદંબા તારાં.’ વિદાય વખતે તેમની બન્ને આંખો અશ્રુભીની થઈ, મેં બીજી બાજુ જોઈને મારો વિષાદનો ભાવ છુપાવ્યો. શાંતિથી તેઓ કેબીનમાંથી નીકળી ગાડીમાં ચડ્યા.

આ નાની કેબીનમાં અમે બન્ને સુખી હતા, હવે તો શૂન્યતા વ્યાપી ગઈ. ભારે હૃદયથી હું જ્યારે કેબીનમાંથી બહાર આવ્યો ત્યારે તે ચાલી જતી ઘોડાગાડીની ધૂળ જ જોવા મળી. તે જ વાંકાચૂંકા પહાડી રસ્તે જેટલે દૂર દૃષ્ટિ જઈ શકી ત્યાં સુધી હું ગાડી તરફ જોઈ રહ્યો. છેલ્લા વળાંકે ગાડી થોડી વાર માટે ઊભી રહી. મને લાગ્યું કે સ્વામી તુરીયાનંદ અમારા માટે અંતિમ પ્રાર્થના કરી રહ્યા છે.

દુઃખી મન સાથે હું કેબીનમાં પાછો આવ્યો અને અંદર પ્રવેશતાં જ તેમની ઉપસ્થિતિનો અનુભવ કર્યાે. તેના પરિણામે મારું વ્યથિત મન પ્રશાંત બન્યું. મેં આશ્રમવાસીઓને કહ્યું કે સ્વામી તુરીયાનંદ આ સમયે આપણી સાથે છે તથા તેમના વચનનો મેં ઉલ્લેખ કર્યાે, ‘હું તમારા સૌની સાથે સૂક્ષ્મદેહે રહીશ.’

Total Views: 129
By Published On: December 1, 2021Categories: Atulananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram