રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે

શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત તેમનું પુસ્તક ‘The Eternal Values for a changing Society’ (ચાર ખંડોમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યું છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

વ્યાખ્યાનો અને વાર્તાલાપો મૂલ્યવાન છે પણ, તે ઉપરાંત, પોતાના વિચારોના વાહક તરીકે, ભારતને અને જગતને આપેલી ભેટ સ્વામી વિવેકાનંદે સ્થાપેલી સંસ્થા છે. ૧૮૮૬માં શ્રીરામકૃષ્ણના લીલાસંવરણની પૂર્વસંધ્યાએ, સ્વામી વિવેકાનંદની અધ્યક્ષતા હેઠળ, શ્રીરામકૃષ્ણનું નામ ધારણ કરતો મઠ એમના સંન્યાસી શિષ્યોએ સ્થાપ્યો હતો. થોડો સમય જતાં, નીચે જણાવેલા બે અવિનાભાવી જોડિયા હેતુઓ એ મઠે પોતાની સમક્ષ રાખ્યા હતા :

(૧) શ્રીરામકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઇ, પવિત્રતા, ત્યાગ અને વ્યવહાર્ય આધ્યાત્મિકતાવાળા જીવનને વરેલા સંન્યાસીઓનું એક વૃંદ ઊભું કરવું અને એમાંથી, જગતની સર્વ રીતે સેવા કરે તેવા આચાર્યો અને સેવકો તૈયાર કરવા. અને,

(૨) બધાં સ્ત્રી, પુરુષો અને બાળકોને, નાતજાત, ધર્મ, રાષ્ટ્રીયતા, લિંગ કે વર્ણના ભેદ વિના, ઇશ્વરનાં સાચાં સ્વરૂપો તરીકે સ્વીકારી, ગૃહસ્થ કાર્યકરોના સાથથી ધાર્મિક, સખાવતી અને કરુણાજન્ય પ્રવૃત્તિઓ ચલાવવી.

૧૮૯૯માં (બંગાળના હાવડા જિલ્લામાં) બેલુડ ગામે, પશ્ચિમમાંથી પાછા આવીને, સ્વામીજીએ રામકૃષ્ણ મઠની સ્થાપના કરી, જે ઉપર જણાવેલો પ્રથમ હેતુ પરિપૂર્ણ કરે છે. આ માટે ‘ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી હતી. આની બે વર્ષ પૂર્વે, ૧૮૯૭માં, શ્રીરામકૃષ્ણ મિશન ઍસોસિએશનના નામના સેવા સંઘની સ્થાપના કરી સ્વામીજીએ બીજા હેતુને મૂર્ત સ્વરૂપ આપ્યું હતું. આ પછી તરત જ, શ્રીરામકૃષ્ણ મિશન ઍસોસિએશનનું કાર્ય મઠે પોતાને શિરે ઉપાડી લીધું અને કેટલાંક વર્ષ તે જવાબદારી વહન કરી. એની પ્રવૃત્તિઓના વ્યાપ સાથે એની જવાબદારીઓ વધી ત્યારે, આ ઍસોસિએશનને જુદું વિધાયક અસ્તિત્વ આપવાની જરૂર જણાઇ. તે અનુસાર ૧૮૬૦ના સૉસાયટીઝ રજિસ્ટ્રેશન ઍક્ટ હેઠળ, ૧૯૦૯માં તેની નોંધણી કરાવવામાં આવી અને કામચલાઉ ધોરણે, બેલુડ મઠના ટ્રસ્ટીઓના બનેલા નિયામક મંડળને એનો વહીવટ સોંપાયો. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન બંનેએ પોતાના કાર્યક્ષેત્રની અને શાખાઓની વૃદ્ધિ દેશમાં અને વિદેશમાં કરી.

આંદોલન પાછળનાં વિભાવનાઓ અને આદર્શો

ઉપનિષદો અને ગીતાના બોધ, બુદ્ધ અને ઇસુનાં જીવનદૃષ્ટાંતો અને એમનાં કાર્યો ઉપરાંત, રામકૃષ્ણ આંદોલનના આ સિદ્ધાંતોની પાછળનું પ્રેરક બળ શ્રીરામકૃષ્ણના જીવનના કેટલાક અનુભવો છે. પોતાના પરિવ્રાજક કાળમાં, સ્વામી વિવેકાનંદને એક વિચાર સતાવતો હતો તે એ કે વેદાંતને વ્યવહારુ કેમ બનાવવું અને, પરમાર્થ અને વ્યવહાર વચ્ચેની ખાઇ કેમ પૂરવી. અખિલ વિશ્વની આધ્યાત્મિક એકતા ઘોષિત કરે છે પણ, માનવ અનુભવ અનેકતા પર ભાર મૂકે છે. અનુભૂતિના આ બે ધ્રુવો વચ્ચેનો સુમેળ જીવન ઝંખે છે. નિષ્કામ કર્મના બોધ દ્વારા ગીતાએ, ઘણા સમય અગાઉ, આ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો પણ, ત્યારે, સામુહિક ધો૨ણે એ સિદ્ધાંતને લાગુ પાડવાનો સમય પાક્યો ન હતો. પ્રાણીમાત્રને ઇશ્વરરૂપે કે, ઇશ્વરના સ્ફુલ્લિંગો રૂપે જોઇ, તે સર્વની સેવાનો, પોતાનો પ્રખ્યાત સિદ્ધાંત રજૂ કરવામાં સ્વામી વિવેકાનંદની મેધા પ્રતિબિંબિત થાય છે. આત્માના શ્રેય સાથે જગતના હિતને સાંકળી લેવાયું છે; આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ. ધાર્મિક અને સાંસારિક વચ્ચેનો ભેદ આ અભિગમ તરત જ ઉડાડી મૂકે છે. જીવન પોતે જ ધર્મ છે. પુરોહિત માટે છે તેટલી જ દીક્ષાની આવશ્યકતા સામાન્ય કાર્ય કરનાર માટે છે. ભગિની નિવેદિતાના શબ્દો અનુસાર (‘ઈન્ટ્રોડકશન ટુ ધ કંપ્લીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ’, વૉ. ૧-૧૧મી આ પૃ. ૧૫) :

‘અનેક અને એક ખરેખર એક જ નિત્ય વસ્તુ હોય તો, કેવળ પૂજાના જ બધા પ્રકારો નહીં પણ, કાર્યના બધા પ્રકારો, સંઘર્ષના બધા પ્રકારો, સર્જનના બધા પ્રકારો પણ એટલા જ સાચા સાક્ષાત્કારના માર્ગો છે. તો, ધાર્મિક અને સાંસારિક વચ્ચે હવે કશો ભેદ નથી. શ્રમ કરવો એટલે પ્રાર્થના કરવી. જય મેળવવો એટલે ત્યજવું. જીવન પોતે જ ધર્મ છે, (કોઇ વસ્તુનો) કબ્જો મેળવી તેને ચીટકી રહેવું તે, એને છાંડીને તજવા બરાબર જ છે.’

રામકૃષ્ણ મઠ અને મિશનની બધી પ્રવૃત્તિઓની આ ભૂમિકા છે, તેનો આ આધાર છે, પોતાના એક ચિંતન-પ્રધાન પુસ્તકમાં જુલિયન હકસ્લી એક અગત્યની બાબત ચીંધે છે; વિજ્ઞાનની ઉદાર અને તર્કબદ્ધ ભાવનાને ધર્મની શ્રદ્ધા અને ધગશ સાથે જોડે તેવા લોકોનું એક જૂથ. (વૉટ ડૅર આઇ થિંક? ધ ચૅલૅન્જ ઑફ મૉડર્ન સાયન્સ ટુ હ્યુમન ઍક્શન ઍન્ડ બિલિફ, ૧૯૩૧ પૃ. ૧૭૨-૧૭૩) :

‘ઉત્સાહને જન્મ આપે અને એક યુવાન ધર્મની માફક ભક્તિને સૂત્રબદ્ધ કરે પણ, એક તરફથી જે ધર્માંધ ધોકાપંથીમાં ન સરી પડે અને, બીજી તરફથી એના વ્યવસ્થાતંત્રની ઊણપને લઇને રૂઢિચુસ્તતામાં કે સાંસારિકતામાં, બીજા અનેકની માફક સરી ન પડે તેવી સંસ્થાનું આયોજન શક્ય છે?’

છેલ્લા કેટલાક દાયકાઓનો ભારતનો ઇતિહાસ આ પ્રતિપાદનની વ્યવહારુતાનું સ્પષ્ટ દર્શન કરાવે છે. સ્વામી વિવેકાનંદે આરંભેલા આત્માનાં નવાં આંદોલનો માત્ર ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય કરનારાં નથી પણ, ધાર્મિક અને સાંસારિકનો, પૂર્વ અને પશ્ચિમનો પણ સમન્વય કરનારાં છે.

શ્રીરામકૃષ્ણ મિશનનું મેમોરૅન્ડમ

શ્રીરામકૃષ્ણ મિશન એસોસિએશનના મેમોરેન્ડમમાંથી થોડા ઉતારા આપીએ તો, શ્રીરામકૃષ્ણ મિશનનાં ધ્યેયો અને હેતુઓ એકદમ સરળતાથી સમજી શકાય :

(ક) શ્રીરામકૃષ્ણે રજૂ કરેલા અને પોતાના જીવનમાં નિદર્શિત કરેલા વેદાંતના અભ્યાસને અને સિદ્ધાંતને પ્રોત્સાહન આપવું અને તેમનો પ્રચાર કરવો, તથા તુલનાત્મક ધર્મોનો, એના વિશાળતર અર્થમાં પ્રચાર કરવો અને ઉત્તેજન આપવું.

(ખ) કલાઓ, વિજ્ઞાનશાસ્ત્રો અને ઉદ્યોગોના અભ્યાસને ઉત્તેજન આપવું અને તેમનો પ્રચાર કરવો.

(ગ) ઉપર્યુક્ત બધી જ્ઞાનની શાખાઓમાં શિક્ષકોને તાલીમ આપવી અને તેમને લોકો સુધી પહોંચવાની સગવડ કરી આપવી.

(ઘ) લોકોમાં શિક્ષણ કાર્ય કરવું.

(ચ) શાળાઓ – કૉલેજો, અનાથગૃહો, કાર્યશાળાઓ, પ્રયોગશાળાઓ, હૉસ્પિટલો, દવાખાનાં, અશક્તો, આજારો અને પીડિતો માટેના નિવાસો, દુષ્કાળ નિવારણ કાર્યો અને બીજાં શૈક્ષણિક અને સેવા કાર્યો કરવાં અને એ પ્રકારની સંસ્થાઓની સ્થાપના કરવી, સંચાલન કરવું અને તેમને સહાય કરવી.

(છ) પોતાના હેતુઓના પ્રચાર માટે સામયિકો, માસિકો, પુસ્તકો કે, પત્રિકાઓનું મુદ્રણ કરવું, તેમનું પ્રકાશન કરવું અને તેમને વેચવાં કે વિનામૂલ્યે કે અન્ય રીતે તેમનું વિતરણ કરવું.

(જ) ઉપર જણાવેલા કોઇ પણ હેતુના પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રોત્સાહન માટે, મિશનને યોગ્ય લાગે તેવી બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરવી.

સભ્યોનો માન્યતાપત્ર

નીચેની નિષ્ઠાઓ પ્રત્યેની પોતાની દૃઢ માન્યતા દર્શાવીને, જ્ઞાતિ કે ધર્મના, જાતિ કે રાષ્ટ્રીયતાના ભેદ વિના, કોઇ પણ વ્યક્તિ મિશનની સભ્ય બની શકે :

(૧) જેમનાં જીવન અને બોધ જગતના બધા ધર્મોનાં યોજના અને હેતુને તથા તેમનામાં નિહિત સત્ય અને સંવાદિતાને સમજવામાં સહાય કરે છે તે શ્રીરામકૃષ્ણને સનાતન ધર્મના દૃષ્ટાંત અને મૂર્તસ્વરૂપ તરીકે હું સ્વીકારું છું.’

(૨) બધા ધર્મોને હું ઇશ્વરપ્રાપ્તિના પંથ ગણું છું અને, બધા ધર્મોના અનુયાયીઓ સાથે શાંતિથી અને સુમેળથી રહેવાનો પ્રયત્ન હું કરીશ.’

(૩) ‘શ્રીરામકૃષ્ણ મિશનના મેમોરૅન્ડમમાં રજૂ થયેલા બધા હેતુઓ પ્રત્યે મને સમભાવ છે અને મિશનના કાર્યમાં હું સક્રિય સહકાર આપીશ.’

બેલુડ મઠ : આંદોલનનું વડું મથક

ગંગા કાંઠે; કલકત્તાથી આશરે ચાર માઇલ (સાડા છ કિલોમીટર) દૂર આવેલા બેલુડ ગામમાં મઠનું વડું મથક આવેલું છે. આ મથકની સ્થાપના, ૧૮૯૯માં પશ્ચિમમાંથી પાછા આવ્યા પછી, સ્વામી વિવેકાનંદે પોતે જ કરી હતી; પ્રથમ એ રામકૃષ્ણ મઠનું વડું મથક હતું અને પછીથી રામકૃષ્ણ મિશનનું વડું મથક પણ એ બન્યું. પતિત પાવની ગંગાને તટે ઊભેલો એ મઠ દક્ષિણેશ્વરના મંદિર અને એના બગીચાની સન્મુખે આવેલો છે. એ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ રહેતા હતા અને બોધ આપતા હતા. સાધુઓના મઠ ઉપરાંત ત્યાં પુસ્તકાલય, અતિથિગૃહ, ધર્માદા ઔષધાલય અને શ્રીરામકૃષ્ણનું ભવ્ય મંદિર છે; મુખ્યત્વે, ભારત મિત્રો અને મિશનનાં ભક્તો એવી બે અમેરિકન મહિલાઓના દાનમાંથી રૂપિયા આઠ લાખને ખર્ચે તૈયાર થયેલ એ મંદિર, ૧૯૩૮માં તૈયાર થયેલ એ મંદિર ઠાકુરને અર્પણ કરવામાં આવ્યું હતું. બેલુડ મઠની સાવ નજીક, એક ડિગ્રી કૉલેજ, એક અધ્યાપન મહાવિદ્યાલય અને સામાજિક પ્રશિક્ષણ વિદ્યાલય અને, પૂર્ણ વિકસિત ઍન્જિનિયરિંગ કૉલેજ થવાની શક્યતાવાળી ઇંડસ્ટ્રિયલ ટ્રેનિંગ સ્કૂલ પણ ચાલે છે. પ્રથમ બે કૉલેજો કલકત્તા યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. મિશન આ શિક્ષણ સંસ્થાઓનું સંચાલન કરે છે.

શાખા કેન્દ્રો અને તેમની પ્રવૃત્તિઓ

ઉપર જણાવેલાં બેલુડનાં કેન્દ્ર ઉપરાંત માર્ચ ‘૯૬માં, કુલ ૧૩૫ શાખાઓ હતી, જેમાંની ૫૭ મિશન મથકોની હતી, ૨૫માં મઠ અને મિશન સંયુક્ત હતાં અને ૫૩ મઠનાં કેન્દ્રો હતાં. નીચે જણાવ્યા મુજબ એ ફેલાયેલાં હતાં : ૨ મિશન કેન્દ્રો, ૬ મઠ અને મિશનનાં સંયુક્ત કેન્દ્રો અને ૨ મઠ કેન્દ્રો બાંગ્લાદેશમાં, અકકૈક મિશન કેન્દ્ર ફિજી, ફ્રાન્સ, મોરિશિયસ, સિંગાપુર, શ્રીલંકા અને સ્વિત્ઝર્લેન્ડમાં; એક એક મઠ કેન્દ્ર આર્જેન્ટિના, કૅનેડા, જાપાન, નેધર્લેન્ડ્ઝ, રશિયા અને યુ. કે. માં, ૧૨ મઠ કેન્દ્રો યુ.ઍસ.ઍ.માં, અને બાકીનાં ૪૯ મિશન કેન્દ્રો, ૧૯ મઠ અને મિશનનાં સંયુક્ત કેન્દ્રો અને ૩૩ મઠ કેન્દ્રો (બધાં મળી ૧૦૧) ભારતમાં કાર્યરત છે. ભારતનાં આ કેન્દ્રો નીચે પ્રમાણ વહેંચાયેલા છે : પશ્ચિમ બંગાળ-૩૩, તામિલનાડુ-૧૨, ઉત્તર પ્રદેશ – ૧૧, બિહાર અને કેરળમાં – ૭-૭, કર્ણાટક -૪, આન્ધ્ર પ્રદેશ, અરુણાચલ, આસામ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા દરેકમાં – ૩, ગુજરાત, મધ્યપ્રદેશ, મેઘાલય અને રાજસ્થાન દરેકમાં -૨ અને અંદામાન, ચંદીગઢ, નવી દિલ્હી અને ત્રિપુરા દરેકમાં -૧. વિશેષમાં એવાં ૨૭ પેટા કેન્દ્રો છે જેમાં સાધુઓ લગભગ કાયમી વસવાટ કરે છે.

તબીબી સેવાઓ

મઠ અને મિશનનાં ભારતમાંનાં મોટા ભાગનાં કેન્દ્રોએ ધર્મ, વર્ણ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વગર લોકોના સ્વાસ્થ્યની જાળવણીની પ્રવૃત્તિ હાથ ધરી હતી. કલકત્તા, ઇટાનગર, કનખલ, લખનૌ, રાંચી, તિરુઅનંતપુરમ, વારાણસી અને વૃંદાવનની હૉસ્પિટલો અગ્રગણ્ય સંસ્થાઓ છે. ૧૯૯૫-૯૬માં, કુલ ૧૪ હૉસ્પિટલોમાંની ૨૦૬૧ પથારીઓનો લાભ ૭૫,૨૮૪ દર્દીઓએ લીધો હતો અને ૨૨,૮૦,૪૬૯ દર્દીઓએ બહારથી સારવાર લીધી હતી; ૯૫ દવાખાનાંઓએ ૨૭,૭૩,૨૦૧ દર્દીઓને ઔષધ સહાય કરી હતી અને, ૨૮ ફરતાં ઔષધાલયોએ ગ્રામ અને આદિવાસી વિસ્તારોમાં ૭,૬૬,૬૭૮ લોકોને દવા આપી હતી; ૧૭ ચક્ષુરોગ નિદાન કૅમ્પોનો લાભ ૧,૦૫૫ મોતિયા વગેરે આંખના દર્દીઓએ લીધો હતો. આ સંખ્યા વિનામૂલ્યે કરાયેલી શસ્ત્રક્રિયાઓની છે. આ ઉપરાંત સંખ્યાબંધ તબીબી કૅમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાંતના અને અન્ય રોગોના ૨૩૦૦ કરતાં વધારે દર્દીઓએ લાભ લીધો હતો. તબીબી તાલીમના ભાગરૂપે નર્સિંગની તાલીમનાં ૫ કેન્દ્રોમાં ૪૦૮ પરિચારિકાઓને તાલીમ આપવામાં આવી હતી. કલકત્તાના સેવા-પ્રતિષ્ઠાનમાં તબીબી વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં સ્નાતકોત્તર અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં ૪૩ વિદ્યાર્થીઓએ સંશોધન કર્યું હતું. પુરુષો માટેના ૩ અને સ્ત્રીઓ માટેના ૧ વૃદ્ધાશ્રમોનું સંચાલન ચાલુ છે જેનો લાભ અનુક્રમે, ૬૮ અને ૩૬ અંતેવાસીઓએ લીધો હતો. રાંચી અને નવી દિલ્હીની હૉસ્પિટલોમાં ક્ષયના રોગની સારવા૨ આપવામાં આવે છે ત્યારે, કલકત્તાના સેવાપ્રતિષ્ઠાનમાં અને, તિરુઅનંતપુરમની હૉસ્પિટલમાં પ્રસૂતાઓની સારવા૨ કરવામાં આવે છે. તિરુઅનંતપુરમમાં મનોચિકિત્સાની પણ સગવડ છે.

આ હેતુ માટે બધું મળીને ૧૯૯૫-૯૬માં આશરે રૂા. ૧૪.૯૭ કરોડની રકમ વપરાઇ હતી.

શૈક્ષણિક કાર્ય

મઠ અને મિશન સંચાલિત શિક્ષણ સંસ્થાઓએ જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી તેને તેઓ બરાબર વળગી રહી છે. શૈક્ષણિક કારકિર્દીમાં ઉત્તમતા હાંસલ કરવા ઉપરાંત, રમતગમતના અને ઇતર સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનાં ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ કીર્તિને વર્યા હતા. રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા કુલ ૨૯૫૯ શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે, જેમાં ૧,૬૮,૫૬૬ વિદ્યાર્થી ભાઇ-બહેનો અભ્યાસ કરે છે. આશરે

આ કાર્ય અંગે ૧૯૯૫-૯૬માં થયેલો કુલ ખર્ચ ૪૦.૯૯ કરોડ રૂપિયાનો હતો.

ગ્રામ અને પછાત વિસ્તારોમાંનું કાર્ય

મઠ અને મિશનના સેવા કાર્યમાં ગ્રામ વિસ્તાર અને આદિ જાતિઓના કલ્યાણનું કાર્ય અગત્યતા ધરાવે છે. પોતાની મર્યાદિત અર્થશક્તિ અને કાર્યકરો વડે દેશના વિવિધ ભાગોમાં ગરીબ અને પછાત વર્ગોના લોકો માટે અને આદિ જાતિઓ માટે, પોતાનાથી શક્ય તેટલું કાર્ય મઠ અને મિશન કરી રહેલ છે. આ કાર્ય ત્રણ રીતે પાર પાડવામાં આવે છે : (ક) ગ્રામ અને આદિવાસી વિસ્તારોમાં આ હેતુ માટે જ ઊભાં કરવામાં આવેલાં કેન્દ્રો દ્વારા, (ખ) ગ્રામ અને આદિવાસી વિસ્તારોમાં વિકાસ પ્રકલ્પો લેનાર નગર કેન્દ્રો દ્વારા; અને (ગ) નગર વિસ્તારોમાં આવેલાં શૈક્ષણિક કેન્દ્રો જેનો લાભ મુખ્યત્વે ગ્રામ વિસ્તારના અને આદિવાસી લોકો લે છે તેમના દ્વારા. વિશેષમાં, વડા મથકે પલ્લી-મંગલ સંકલિત ગ્રામવિકાસની (Pallimangal Integrated Rural Development) પ્રવૃત્તિઓ કેટલાંક પસંદગીનાં ગામડાંઓમાં હાથ ધરીને ગ્રામ અને આદિવાસી વિસ્તારોમાં શૈક્ષણિક અને તબીબી પ્રવૃત્તિઓ પાછળ કરવામાં આવેલા મોટા ખર્ચ ઉપરાંત, ગ્રામ અને આદિવાસી વિકાસની આ પ્રવૃત્તિઓ પાછળ મઠ અને મિશને ૧૯૯૫-૯૬માં ૫.૭૮ કરોડ રૂપિયા વાપર્યા હતા.

આપત્તિ સમયે સહાય

મિશનની સ્થાપના સમયથી જ પૂર, ભૂકંપ, અને જાહેર અશાંતિ દરમિયાન ઊભી થતી પરિસ્થિતિમાં રાહત કાર્ય એ કરતું આવે છે. ૧૯૪૭માં આઝાદી પછી સરકાર આ કાર્ય કરતી આવી છે છતાં, સામાન્ય આપત્તિને સમયે મિશન મોટે પાયે રાહત કાર્ય કરે છે. આવાં કાર્યો પાછળ ગયે વર્ષે મિશને ૧.૨૨ કરોડ રૂપિયા વાપર્યા હતા.

(૧) નીચે મુજબનાં પ્રાથમિક રાહતનાં કાર્યો હાથ ધર્યાં હતાં –

(ક) પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાં સમયનું કાર્ય, કલકત્તાનાં નરેન્દ્રપુર અને બેલુડના શારદાપીઠ કેન્દ્રોએ આ કાર્ય કર્યું હતું.

(ખ) આગ રાહત કાર્ય : કલકત્તામાં વડા મથકે, ઓરિસ્સામાં પુરી મઠે અને અરુણાચલ પ્રદેશમાં અલોંગ કૅન્દ્રે આ કાર્ય કર્યું હતું.

(ગ) વડા મથકે, જયરામવાટી તથા રામહરિપુરનાં કેન્દ્રોએ પશ્ચિમ બંગાળમાં, રાજકોટ કેન્દ્રે ગુજરાતમાં અને જામતારા તથા રાંચી (સૅનૅટોરિયમ) કેન્દ્રોએ બિહારમાં રાહત-કાર્ય કર્યું હતું.

(ઘ) વડા મથકે અને આસાન્સોલ, ઈચ્છાપુર, જલપાઈગુરી, માલદા, મિદનાપુર, સારગાછી અને તમલુક કેન્દ્રોએ બંગાળમાં, ચેરાપુંજી કેન્દ્રે મેઘાલયમાં અને નવી દિલ્હી કેન્દ્રે દિલ્હીમાં પૂર રાહત-કાર્ય કર્યું. ઉપરાંત ઢાકા અને દિનાજપુરનાં કેન્દ્રોએ બાંગ્લાદેશમાં પૂર રાહત કાર્ય કર્યું હતું.

(ચ) સેવા-પ્રતિષ્ઠાન, સારિશા અને માનસદ્વીપ કેન્દ્રોના સહકારથી વડા મથકે પશ્ચિમ બંગાળમાં તબીબી રાહત આપી.

(છ) વડા મથકે તેમજ જલપાઈગુરી, કામારપુકુર અને સિક્રા – કુલીનગ્રામ કેન્દ્રો દ્વારા શિયાળામાં રાહત આપવાનું કાર્ય થયું હતું.

આ કાર્ય ઉપરાંત રૂ. ૩૦.૭૫ લાખની ચીજવસ્તુઓ જુદી જુદી આફતોથી ઘેરાયેલા લોકોને વહેંચવામાં આવી, એમાં અનાજ, બિસ્કિટ, બટેટા, કપડાં વગેરેનો સમાવેશ થતો હતો. દવાઓ, વાસણો, ફાનસો, ધાબળા વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

(૨) મહારાષ્ટ્રના લાતુરમાં આગલે વર્ષે ચાલુ કરેલાં, ભૂકંપનો સામનો કરે તેવાં ૨૨૨ ઘ૨નું બાંધકામ પૂરું થયું હતું. ત્રણ ગામડાઓમાં, સામાન્ય હેતુ માટેના ૨ હૉલ, ૨ શાળાઓ અને ૬ બાળક્રીડાંગણોનું કાર્ય પણ પૂરું થયું હતું. વિધિવત્ ઉદ્‌ઘાટનવિધિ બાદ લાભાર્થીઓને કબજો અપાયો હતો.

પરદેશોમાંનું કાર્ય

રામકૃષ્ણ મઠના સંન્યાસીઓએ દૂરના દેશોમાં ભારતનો સંદેશ સંભળાવવાની કામગીરી સુંદર રીતે કરી હતી. ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં, યુરોપનાં, મોરિશિયસનાં અને એશિયાના વિવિધ ભાગોમાંનાં કેન્દ્રોમાંનું કાર્ય આની સાક્ષી પૂરે છે.

આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્ય

૧૯૯૬નું વર્ષ સ્વામી વિવેકાનંદની થાઉઝંડ આઈલૅન્ડ પાર્કની મુલાકાતની શતાબ્દીનું વર્ષ હતું. ત્યાં સ્વામીજીએ ચુનંદા સાધકવૃંદ સમક્ષ ‘પ્રેરિત વાર્તાલાપો’ (ઈન્સ્પાયર્ડ ટૉક્સ) આપ્યા હતા. ન્યુયૉર્કના કેન્દ્રે આ પ્રસંગની ભવ્ય ઉજવણી કરી હતી. જે ખડક પર બેસી સ્વામીજીએ ધ્યાન કર્યું હતું (એ ‘વિવેકાનંદ શિલા’ તરીકે ઓળખાય છે) તેની યાત્રા, સેંટ લૉરેન્સ નદીમાં ૩૨ શણગારેલી નૌકાઓની શોભાયાત્રા વગેરે કાર્યક્રમોનું આયોજન થયું હતું. મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે, ૧૨મી જાન્યુઆરીએ, રાષ્ટ્રીય યુવા દિનના કાર્યક્રમમાં યુવકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કેટલાંક કેન્દ્રોએ યુવ-સંમેલનો, રાષ્ટ્રીય એકતા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

ભિન્ન ભિન્ન કેન્દ્રોમાંથી ‘પ્રબુદ્ધ ભારત’, ‘વેદાન્ત કેસરી’, ‘ઉદ્‌બોધન’, ‘વિવેક જ્યોતિ’, ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વગેરે સામયિકો ઠાકુર અને સ્વામીજીનો સંદેશ ફેલાવી રહેલ છે. અનેક કેન્દ્રો દેશની તેમ જ વિદેશની વિવિધ ભાષાઓમાં પુસ્તક પ્રકાશનનું કાર્ય કરી રહ્યાં છે.

મહિલાઓ માટેનું કાર્ય

મઠ અને મિશને જુદી જુદી રીતે ભારતની મહિલાઓની સેવા કરી છે. કલકત્તાના સેવા-પ્રતિષ્ઠાનનાં પ્રસૂતિ વિભાગોનું કાર્ય કરવા ઉપરાંત તિરુઅનંતપુરમ અને વૃંદાવનની હૉસ્પિટલોમાં પણ એ વિભાગો કાર્યરત હતા. ખેતીમાં પણ તેમ જ હતું. વારાણસીનો વૃદ્ધાશ્રમ, ચેન્નાઈનું શારદા વિદ્યાલય, ચિંગલપટ્ટુની કન્યાઓ માટે ઉચ્ચતર માધ્ય. શાળા, જમશેદપુર અને સારિશાના કન્યા વિદ્યાલયો અને તિરુઅનંતપુરમ, વૃંદાવન, ઈટાનગર અને કલકત્તાની પરિચારિકાઓ માટેની (નર્સિંગ) તાલીમશાળાઓનું સંચાલન કરવામાં આવ્યું હતું. ચેન્નાઈ મઠ કન્યાઓ માટે એક પ્રાથમિક અને એક માધ્યમિક શાળા પણ ચલાવે છે.

સ્વામી વિવેકાનંદને અંતરથી લાગતું હતું કે પૂજ્ય મા શારદાદેવીની પ્રેરણા હેઠળની મહિલાઓ માટેનો પણ એક મઠ હોવો જોઈએ. આયર્લેન્ડનાં ભગિની નિવેદિતા અને યુ.ઍસ.ઍ.નાં ભગિની ક્રિસ્ટીન, એ બે પાશ્ચાત્ય મહિલાઓ સ્વામીજીની શિષ્યા બની ભારતમાં આવી હતી અને, એમના સંન્યાસગ્રહણથી જાણે કે, એ મઠ આરંભાયો હતો. આ ભાવનાથી પ્રેરાઈ, પૂર્વ અને પશ્ચિમની કેટલીક બહેનો સંન્યાસને અને સેવાને માર્ગે વળી છે.

શ્રી શારદા મઠ

પૂજ્ય મા શારદાદેવીના જન્મશતાબ્દીના વર્ષમાં, ૧૯૫૩માં સ્વામીજીના સંકલ્પ અનુસારના ત્યાગ અને સેવાને માર્ગે ચાલવા ઈચ્છતી બહેનો માટેના આ મઠની સ્થાપના કરવામાં આવી અને ૧૯૫૯માં, બહેનોના પ્રથમ વૃંદને, બેલુડમઠમાં દીક્ષા અપાઈ હતી. દક્ષિણેશ્વરના મંદિરની નજીક, ગંગાને ડાબે કાંઠે મઠ કાર્યરત છે. શ્રી શારદા મઠની સાથે, શ્રીરામકૃષ્ણ મિશનને અનુરૂપ શ્રી શારદા મિશનની પણ સ્થાપના કરવામાં આવી હતી અને, નિવેદિતા સ્કૂલ, માતૃભવન પ્રસૂતિ ગૃહ (કલકત્તા), ત્રિચુરનું છાત્રાલય સાથેનું કન્યા વિદ્યાલય વગેરેનું સંચાલન શ્રીરામકૃષ્ણ મિશને એને સોંપ્યું.

શ્રી શારદામઠ અને મિશનની શાખાઓ દિલ્હી, ચેન્નાઈ (મદ્રાસ), બૅંગ્લોર, પુણે વગેરે સ્થળોએ કાર્યરત છે. પછીથી યુવતીઓ માટેની છાત્રાવાસી કૉલેજ વિવેકાનંદ વિદ્યાભવનની અને શિક્ષામંદિરની સ્થાપના કરી તેમનું સંચાલન તેઓએ હાથ ધર્યું છે. ઑસ્ટ્રેલિયામાં સિડનીમાં શારદા વેદાન્ત સોસાયટીની સ્થાપના થઇ છે. આ સિવાય યુ.ઍસ.ઍ.માં કૅલિફોર્નિયામાં સાન્તા બાર્બરામાં, સાનફ્રાન્સિસ્કોમાં અને હૉલીવુડમાં તથા, ફ્રાન્સમાં ગ્રેત્‌ઝમાં વેદાન્ત સોસાયટીઓ દ્વારા સંચાલિત કૉન્વેન્ટોમાં પણ ઘણી સંન્યાસીઓ નિવાસ કરે છે.

શારદામઠની સાધ્વીઓ પ્રવ્રાજિકાઓ કહેવાય છે, જે સંન્યાસીઓની સમાન છે. અને સંન્યાસીઓનાં નામને અંત આનંદ લાગે છે તેમ પ્રાજિકાઓનાં નામને અંતે પ્રાણા લાગે છે.

બંધારણ અને કાયદાની દૃષ્ટિથી શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન તેમ જ શારદા મઠ અને મિશન આ બન્ને સંસ્થાઓ એકબીજાથી તદ્દન સ્વતંત્ર છે. જો કે બન્ને શિવજ્ઞાનથી જીવસેવાના જ આદર્શને વરેલા છે. અને એક જ સ્રોતથી પ્રેરણા મેળવે છે.

મઠ વિરુદ્ધ મિશન

શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન તથા તે બંનેની શાખાઓ ભિન્ન સંસ્થાઓ છે તે છતાં, તે બંને એકમેક સાથે નિકટતાથી સંકળાયેલી છે. કારણ કે, મિશનનું સંચાલક મંડળ મઠના ટ્રસ્ટીઓનું જ બનેલું છે; મિશનના મુખ્ય કાર્યકર્તાઓ મઠના સભ્યો છે; અને બંનેનાં વડાં મથકો બેલુડ મઠમાં આવેલાં છે. પરંતુ, મઠની બધી પ્રવૃત્તિઓ સાથે લોકો ‘રામકૃષ્ણ મિશન’નું નામ સાંકળી લે છે.

કોઈ પણ સંસ્થા પોતાના નામ સાથે શ્રીરામકૃષ્ણનું કે સ્વામી વિવેકાનંદનું નામ જોડે તેથી તે બેલુડના મુખ્ય કેન્દ્રના નિયમન હેઠળ છે તેમ સમજવવાની જરૂર નથી એ બાબત તરફ સૌનું ધ્યાન દોરવું જોઈએ.

મઠ અને મિશનનાં ભંડોળો જુદાં છે. અને હિસાબો પણ જુદા રાખવામાં આવે છે. મઠને નાણાં ભક્તો અને શુભેચ્છકો પાસેથી સાંપડે છે. ત્યારે આમ પ્રજાનાં દાનો અને કેટલાક કિસ્સાઓમાં, મ્યુનિસિપલ કે સરકારી અનુદાનો મિશનને આર્થિક ભંડોળ પૂરું પાડે છે. બંને સંસ્થાઓના હિસાબો વરસોવરસ ઑડિટ થાય છે.

વૈશ્વિક અભિગમ

શ્રીરામકૃષ્ણ મઠનું અસ્તિત્વ એક સૈકા ઉપરથી છે અને, નાના આરંભથી માંડી આજે એ જગતભરમાં ફેલાયો છે અને વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. રામકૃષ્ણ મઠના સભ્યો અંતઃકરણથી ધાર્મિક હોઈ નિષ્ઠાવાન હિંદુ હોવા છતાં, બીજા બધા ધર્મોના અનુયાયીઓ અને પયંગબરો સાથે તેઓ તાદાત્મ્ય અનુભવે છે. હિન્દુ ધર્મની અને શ્રીરામકૃષ્ણની ભાવનાને વળગી રહીને એ વટાળ પ્રવૃત્તિ કરતો સંઘ નથી. વિદેશોમાંનું શ્રીરામકૃષ્ણ મિશનનું કાર્ય વેદાંતના વૈશ્વિક સિદ્ધાંતોનો તથા ભારત અને એની ઉદાર સંસ્કૃતિ વિશેના સાચા ખ્યાલનો પ્રચાર કરે છે. કોઈ અમેરિકનને, યુરોપિયનને કે આરબને એની ખ્રિસ્તી કે ઈસ્લામ ભૂમિમાંથી હિંદુ ભૂમિમાં મિશન રોપવા માગતું નથી. વેદાંતની તર્કશુદ્ધ ફિલસૂફી ખ્રિસ્તીને વધારે સારો ખ્રિસ્તી, મુસલમાનને વધારે સારો મુસલમાન બનાવી શકે જેમ, એક હિંદુને એ વધારે સારો હિંદુ બનાવી શકે છે. જગતના વિવિધ ભાગમાંથી મિશનના કાર્યકર્તાઓ માટેની માગણી આ પ્રકારની મિશનરી સેવાની સત્યતા અને આવશ્યકતાનો સ્પષ્ટ પુરાવો છે.

આવી પ્રવૃત્તિશીલ સંસ્થા વર્ધમાન જ હોઈ શકે. નવી શાખા ખૂલી ન હોય કે, વર્તમાન કેન્દ્રોમાં નવી પ્રવૃત્તિઓ વધી ન હોય એવું કોઈ વર્ષ જતું નથી. અને વધારે કેન્દ્રો માટેની લોકોની સતત માગણીને સંતોષવાનું લગભગ મુશ્કેલ બની ગયું છે. બાઈબલના શબ્દોમાં, ‘ફસલ, ખરે જ, ખૂબ છે પણ, દાડિયાઓ ઓછા છે.’ મિશનની બધી પ્રવૃત્તિઓ માટે દયાળુ અને ઉદાર પ્રજાએ જે સહાય આપી છે તે માટે મિશન તેમનું ખૂબ આભારી છે. મિશનના હેતુઓ અને ધ્યેયો પ્રત્યે સહાનુભૂતિ દાખવી, એની વિવિધ પ્રવૃત્તિઓ માટે આર્થિક કે અન્ય રીતથી સહાય કરનાર સૌનું મિશન હૃદયપૂર્વક ઋણી છે.

રામકૃષ્ણ મઠમાં સાધુ તરીકે પ્રવેશ

સ્નાતક થયા ન હોય તેવા ૧૮ વર્ષથી ઉપરના પણ ૨૫ વર્ષથી નીચેના અને સ્નાતક હોય તો ૩૦ વર્ષ સુધીના, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના આદર્શોમાં દૃઢ શ્રદ્ધાવાળા અને કામ – કાંચનના ત્યાગ દ્વારા ઇશ્વર સાક્ષાત્કાર અને જનસેવા માટે પોતાનું જીવન સમર્પિત કરવાની ઈચ્છાવાળા અપરિણીત પુરુષોને પોતાના સભ્ય તરીકે મઠ સ્વીકારે છે. ઓછામાં ઓછો ઉચ્ચતર માધ્યમિક શાળાની કક્ષા સુધીનો અભ્યાસ તેમણે કર્યો હોવો જોઈએ. આવું આધ્યાત્મિક વલણ હોય, તંદુરસ્ત હોય અને સ્વભાવે મળતાવડો અને સાલસ હોય અને કુટુંબની ઉપાધિઓથી મુક્ત હોય એવા યુવકને બેલુડ મઠના મુખ્ય કેન્દ્રમાં કે એ કાર્ય માટે નિયત એવાં અન્ય શાખા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવે છે. પૂર્વ ઉમેદવારીના એક વર્ષ અને આઠ વર્ષની ઉમેદવારી પછી, આધ્યાત્મિક કે અન્ય રીતે એ અયોગ્ય ન જણાય તો તેને સંન્યાસની દીક્ષા આપવામાં આવે છે અને મઠના સભ્ય તરીકે તેનો સ્વીકાર કરવામાં આવે છે.

ગૃહસ્થ સભ્ય તરીકે રામકૃષ્ણ મિશનમાં પ્રવેશ

શ્રીરામકૃષ્ણ મિશનનાં મુખ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ નિયત પત્રક (ફોર્મ) મેળવી કોઈ પણ ગૃહસ્થ વ્યક્તિ સભ્યપદની અરજી કરી શકે છે.

જેમના જીવન અને સંદેશ બધા ધર્મોની યોજના અને હેતુ અને તેમનામાં નિહિત સત્ય અને સંવાદિતાને સમજવામાં સહાયરૂપ થાય છે તે શ્રીરામકૃષ્ણને સનાતન ધર્મના દૃષ્ટાંત અને મૂર્તરૂપ તરીકે તે વ્યક્તિએ સમજવાનું છે. મિશનના બધા હેતુઓ પ્રત્યે તે પૂર્ણ સહાનુભૂતિ દાખવશે અને મિશનની પ્રવૃત્તિમાં તે સક્રિય સહકાર આપશે.

તારણ

રાજકીય સ્વાતંત્ર્યની પ્રાપ્તિ પછી, ઘર આંગણે અને વિદેશોમાં વર્તમાન અને ભૂતકાળના ભારતના સંતો અને આચાર્યોનાં સ્વપ્નો અને દર્શનો મૂર્ત કરવાની તક અને અધિકાર ભારતની પ્રજાને આજે પ્રાપ્ત થયેલ છે. અગાઉ જણાવ્યા પ્રમાણે, આ સ્વપ્નો અને દર્શનોનો ભારત પૂરતો ઉદ્દેશ માનવીની આંતરિક દિવ્યતાનો અને બંધુતાનો છે. અર્વાચીન યુગમાં, આ પ્રાચીન વસ્તુ અને ધ્યેયો શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં જીવનમાં પ્રભાવક રીતે અભિવ્યક્ત થયેલ છે. આ બે જીવનચરિત્રોના રહસ્યને સિદ્ધ કરવું અને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વા૨સાનાં સૂક્ષ્મતમ અને ઉત્તમ તત્ત્વોના ઉપલક્ષમાં પોતાની જાતને ઘડવી અને નવ જાગ્રત ભારતના આધ્યાત્મિક શાંતિના અને કલ્યાણના સંદેશને જગતભરમાં પહોંચાડવો એ શ્રીરામકૃષ્ણ મઠના સંન્યાસીઓનો અધિકાર છે.

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

(નોંધ : લેખમાં આપેલ આંકડાઓ રામકૃષ્ણ મઠ અને મિશનના ૧૯૯૫-૯૬ના રિપોર્ટ પ્રમાણે આપવામાં આવ્યા છે.)

Total Views: 107
By Published On: April 24, 2022Categories: Ranganathananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram